બનાસકાંઠા-

કોરોનાના કારણે તમામ લોકોની આર્થિક સ્થિતિ કફોળી બની છે. વાલીઓને બાળકોની ફી ભરવામાં પણ તકલીફ પડી રહી છે. વાલીઓ પૂરેપૂરી ફી ભરી શકે તેમ ન હોવાથી બનાસકાંઠાની પ્રત્યેક કોલેજના સંચાલકોએ ફીમાં 15 ટકાનો ઘટાડો કર્યો છે. આથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વાલીઓની સ્થિતિ અને સરકારની રજૂઆતના પગલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પોતાના તાબાની તમામ જિલ્લાઓની કોલેજોને ટ્યૂશન ફીમાં ઘટાડો કરવા પરિપત્ર કર્યો હતો. આને ધ્યાનમાં રાખી બનાસકાંઠા કોલેજ સંચાલક મંડળ હેઠળની જી ડી મોદી કોલેજ, વિમળા વિદ્યાલય ગઢ કોલેજ, કર્ણાવત કોલેજ, ડી એન્ડ પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા, સર્વોદય એજ્યુકેશન કાંટ, આંજણા કેળવણી મંડળ ધાનેરા, યુ. એસ. પટેલ કોલેજ વડગામ, જી. વી. વાઘેલા સંકુલ દિયોદર, માનવનિકેતન ટ્રસ્ટ દિયોદર તેમ જ આદર્શ કોલેજ દિયોદર સહિત તમામ કોલેજના સંચાલકોએ પોતાની ટ્યૂશન ફી 15 ટકા ઘટાડી દેતા વાલીઓએ રાહતની સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.