દિલ્હી-

દિલ્હીમાં ૨૫ માર્ચથી કોવિડ-19 ને લઈને કડક લોકડાઉન છતાં 2020ની શરૂઆતના છ મહિનામાં અહીં વાયુ પ્રદૂષણને કારણે અંદાજે24,000 લોકોના મોત થયા છે. સરકારે જીડીપીના 5.8 ટકા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. એક રિપોર્ટમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આઈક્યુએરના નવા ઓનલાઈન ઉપકરણ એર વિઝ્યુઅલ અને ગ્રીનપીસ દક્ષિણપૂર્વ એશિયા અનુસાર દિલ્હીમાં વર્ષની શરૂઆતના છ મહિના દરમિયાન વાયુ પ્રદૂષણને કારણે 26,230 કરોડ રૂપિયાનું નુકસાન થયું. જે જીડીપીના 5.8ટકા બરાબર છે.

આ વિશ્વના ૨૮ મુખ્ય શહેરોમાં જીડીપીની દૃષ્ટિએ વાયુ પ્રદૂષણથી થનાર સૌથી વધારે નુકસાન છે. ગ્રીનપીસે એક નિવેદનમાં કહ્યુ કે, 2020 ના શરૂઆતના છ મહિનામાં 24,000 લોકોના મોતનો સંબંધ વાયુ પ્રદૂષણ સાથે છે. નિવેદન અનુસાર મુંબઈમાં વાયુ પ્રદૂષણને કારણે આ સમયગાળા દરમિયાન14,000 લોકોના જીવ ગયા અને 15,750 કરોડનું નુકસાન થયું.