ગાંધીનગર-

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ધાટન પણ કર્યું હતું, ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ દેશના 562 રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવાની પણ જાહેરાત કરી હતી, ત્યારે હવે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 562 જેટલા રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે ગુજરાતના તમામ રજવાડાઓ સાથે સીએમ રૂપાણીએ બેઠક યોજીને તમામ રાજવીઓને માહિતગાર કર્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટિ- કેવડિયા ખાતે 562 રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર કરવાના નિર્ણય બદલ રાજવીઓના પરિવારજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિશ્વભરના પ્રવાસીઓ ભારતની એકતા-અખંડિતતાના ભવ્ય ઇતિહાસથી પરિચિત થશે. વર્તમાન અને આવનારી પેઢી સમક્ષ રાષ્ટ્ર એક્યની ભાવનાનો ઇતિહાસ ઊજાગર કરાશે. દેશી રજવાડાના ગૌરવવંતા ઇતિહાસની ગાથા 3D હોલોગ્રાફી અને ઓગમેન્ટેડ રિયાલિટી સહિતના આકર્ષણો સાથે પ્રદર્શિત કરાશે. દેશભરના રાજ્યોનો સંપર્ક કરી તેમના રાજ્યોના તત્કાલિન રાજા-રજવાડાઓની વિગતો તેમજ ભારતમાં વિલીનીકરણના દસ્તાવેજો, બેનમૂન ચીજવસ્તુઓ અને ઐતિહાસિક વિરાસતની સંપૂર્ણ વિગતો મેળવી આ મ્યૂઝિયમમાં શો-કેસ કરાશે. આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ રાજવીઓના પરિવારજનો દ્વારા સીએમ રૂપાણીએ રજવાડી પાઘડી અને સ્મૃતિપત્ર આપીને તેમના સંકલ્પને બિરદાવ્યો હતો. આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજાએ ઉપસ્થિત સૌ રાજવીઓના પરિવારજનોનો પરિચય કરાવ્યો હતો. આ બેઠકમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત વિવિધ પ્રાંતના રાજવીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.