વલસાડ-

નવસારીના ચીખલીમાં પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓનાં શંકાસ્પદ મોતને લઈને હજુ સ્યાહી સૂકાઈ નથી. ત્યારે વલસાડના નારગોલથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મહારાષ્ટ્રથી લૂંટ કરવા આવેલાં આરોપીએ પોલીસ સ્ટેશનના બાથરૂમમાં પોતાના પેન્ટ વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મામલાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. વલસાડ અને મરીન પોલીસને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રથી લૂંટ કરવા માટે આરોપીઓ નારગોલ આવવાના છે. જેને લઈને પોલીસ ટીમ રેડ એલર્ટ પર હતી. આ સમયે એક કાર કે જેની નંબર પ્લેટ પર કીચડ લગાવેલો હતો, શંકાના આધારે પોલીસે કારની અટકાવી હતી. અને કારની તલાશી લેતાં તેમાંથી ધારદાર હથિયારો મળી આવ્યા હતા. જે બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ સમયે પોલીસે એક આરોપીને લઈને લૂંટમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપવા માટે રવાના થઈ હતી. જ્યારે અન્ય એક આરોપી પોલીસ સ્ટેશનમાં જ હતો. આ સમયે પોલીસ સ્ટેશનમાં રહેલાં આરોપીએ બાથરૂમમાં જઈને પોતાના પેન્ટ વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. અને તપાસ શરૂ કરી હતી.