વડોદરા, તા.૧૮ 

વડોદરા શહેરની બહુમાળી બિલ્ડિંગો, હોટેલો અને સરકારી કચેરીઓ થાકેલા, હારેલા અને સહનશક્તિ ગુમાવી ચૂકેલી વ્યક્તિઓ માટે સ્વર્ગની સીડી બની રહી છે. એક સપ્તાહ અગાઉ છાણીના વેન્ડર આધેડે નર્મદા ભુવનના સાતમા માળેથી ભૂસકો મારી આપઘાત કર્યો હતો. આજે શહેરના અલકાપુરી ગરનાળા પાસે આવેલ બંધ સુદર્શન હોટેલના પાંચમા માળેથી અજાણ્યા યુવાને મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના અલકાપુરી ગરનાળા પાસે સુદર્શન નામની હોટેલ આવેલ છે. આ હોટેલ કેટલાય સમયથી બંધ હાલતમાં છે. આ બંધ હોટેલના પાંચમા માળે અજાણ્યો યુવાન (ઉં.વ. આશરે રપ)નો ભેદી કારણોસર હોટેલના દરવાજાને મારે લોખંડની સાંકળની જગ્યામાંથી ઉપર પહોંચ્યો હતો, તે બાદ તેને પાંચમા માળની બારીમાંથી મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો હતો. આ બનાવને પગલે લોકટોળાં એકત્રિત થઈ ગયાં હતાં અને ચકચાર મચી જવા પામી હતી. જાે કે, અજાણ્યા યુવાનના આપઘાતના બનાવની જાણ ગોત્રી પોલીસ મથકને કરવામાં આવી હતી. પોલીસ બનાવના સ્થળે પહોંચી જઈ મોતને ભેટેલા અજાણ્યા યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના વાલીવારસોનો સંપર્ક કરવા માટેના ચક્રો ગતિમાન કર્યાં હતા.