બનાસકાંઠા-

સમગ્ર વિશ્વમાં દિવસેને દિવસે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. ગામડાઓ છોડી લોકો વધુને વધુ શહેરો તરફ સ્થાયી થતા શહેરોની પ્રગતિ થઈ રહી છે. વધુ વસ્તીને સમાવવા જમીનો ઓછી પડી રહી છે અને મોટા પ્રમાણમાં જંગલો સાફ થઇ રહ્યા છે. ત્યારે દાંતીવાડાનો નિરલ પટેલ નામનો યુવાન અનેક દુર્લભ અને ધીમે ધીમે લુપ્તતાના આરે પહોંચેલી વનસ્પતિઓ તેમજ વૃક્ષોના બિયારણ સોશીયલ મીડિયા પર લોકોને વિનામૂલ્યે વિતરણ કરી પ્રકૃતિસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. દાંતીવાડાનો નિરલ પટેલ મૂળ વ્યવસાયે શિક્ષક છે અને વલસાડનો વતની છે પરંતુ છેલ્લા 25 વર્ષથી તે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સ્થાયી થયો છે. નાનપણથી નિરલ પટેલ કંઇક કરી બતાવવાની ઇચ્છાશક્તિ ધરાવતો હતો. આજના ટેકનોલોજીના યુગમાં લોકો સમયનો સદુપયોગ કેવી રીતે કરવો તે જાણવું હોય તો નિરલ પટેલની મુલાકાત અવશ્ય લે. નિરલ પટેલે કોરોના વાઇરસની મહામારીના સમયમાં શાળાઓ બંધ છે ત્યારે પોતાના સમયનો સદુપયોગ કરી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યમાં પ્રકૃતિને બચાવવા માટેની પહેલ શરૂ કરી છે. તેમજ તે દરરોજ સોશીયલ મીડિયા દ્વારા લોકોને પ્રકૃતિ બચાવવા મેસેજ આપી રહ્યા છે. કોરોના વાઇરસની મહામારી વચ્ચે નિરલ પટેલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન જેવાના જંગલોમાં ફરીને લુપ્ત થતા 70થી વધુ વૃક્ષોની પ્રજાતિના બિયારણો એકત્ર કર્યા છે અને લોકોને સોશીયલ મીડિયા વડે જોડાઇ તેનું વિતરણ વિનામૂલ્યે કરી રહ્યો છે. તે જ્યાં પણ ફરવા જાય ત્યાં તેને જે અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે તેના પાન, ડાળખીઓ તે તોડી લાવે છે.