અમદાવાદ-

તૌઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો- સાગરખેડૂઓ ને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા રૂપિયા 105 કરોડનુ ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. વાવાઝોડાની કુદરતી આફતથી માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુક્સાન સામે રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોર કમિટીએ સર્વગ્રાહી રાહત સહાય પેકેજ મંજૂર કર્યું છે.

મુખ્યમંત્રીએ જાહેર કરેલી રાહત કઈ રીતે મળશે?

- અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં 50% અથવા રૂ. 35,000 સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે

- જો નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના 50% અથવા 75,000 બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.

- અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં 50% અથવા 2 લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય અપાશે.

- આ ઉપરાંત રૂપિયા 5 લાખ સુધીની લોન કોઇ માછીમાર લે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે

- પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂપિયા 5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.

- આ ઉપરાંત રૂપિયા 10 લાખ સુધીની લોન પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.

- ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે