ગાંધીનગર

ડિજિટલ ગુજરાતનું ગાણું ગાતી રાજ્ય સરકારના વિવિધ વિભાગોની મોટા ભાગની વેબસાઇટ સુસૂપ્ત અવસ્થામાં પડી છે. હાલમાં રાજ્યમાં પેટાચૂંટણીનો માહોલ છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર કોઈ અપડેટ જોવા મળતા નથી.

રાજ્ય સરકારની સોશિયલ સાઇટ્‌સ અને વેબસાઇટને સતત અપડેટ્‌સ રાખવા માટે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ જ આગ્રહી હતા. પરંતુ નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે ગુજરાત છોડ્યું હતું. તેમના ગુજરાત છોડ્યા બાદ હાલમાં ગુજરાતની રાજ્ય સરકારની કાર્યરત એવી ૧૭૫ પૈકીની ૬૦ જેટલી વેબસાઇટ મૃતપ્રાય અવસ્થામાં ચાલી રહી છે. આ ૬૦ વેબસાઇટ ઉપર માત્ર તારીખ બદલાયા સિવાય અન્ય કોઈ નવું અપડેટ્‌સ થતું નથી. આ ઉપરાંત બનાવેલી ઢગલાબંધ એપ્લિકેશનોમાં પણ વારંવાર એરર જોવા મળી રહી છે.

રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગની મુખ્ય અને તેને સંલગ્ન વેબસાઇટ ઉપર વર્ષો જૂના ડેટાને હજુ પણ ઓનલાઇન રાખવામાં આવેલા છે. આ ઉપરાંત ખાસ કરીને જાહેર જનતા સીધા સંલગ્ન એવા વિભાગો જેવાં કે, આરોગ્ય વિભાગ, ગૃહ વિભાગ, શહેરી વિકાસ વિભાગ હોય કે પછી પંચાયત, બંદરો, વાહન વ્યવહાર, સહકાર, ઉર્જા અને વન-પર્યાવરણ વિભાગની વેબસાઇટ્‌સ મોટા ભાગે સુષુપ્ત અવસ્થામાં પડેલી જોવા મળી રહે છે. જ્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ ઉપર પણ ઘણા જૂના સમયનો ડેટા ઉપલબ્ધ હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે કેટલાક વિભાગો જેવા કે, નાણાં, મહેસૂલ, શિક્ષણ અને કૃષિ વિભાગોની વેબસાઈટ ઉપર ડિજિટલ ગુુજરાત અને કમ્પ્યુટરાઇઝેશનની અસર દેખાતી હોય તેવું લાગી રહ્યું છે. આ વિભાગોની વેબસાઇટ ઉપરાંત ૩૫થી વધુ વેબસાઇટ્‌સ ઉપર સમયાંતરે વિવિધ પ્રકારના અપડેટ્‌સ જોવા મળી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની વેબસાઇટ ઉપર સતત અપડેટ જોવા મળી રહ્યા છે. પરંતુ તેમના અન્ય પ્રધાનોની વેબસાઇટ સુસૂપ્ત અવસ્થામાં જોવા મળી રહી છે. આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઇટ ઉપર પણ વર્ષ ૨૦૧૯ના જૂના ડેટા મૂકવામાં આવેલા છે, જ્યારે આગામી વાયબ્રન્ટ ૨૦૨૧ના ગ્લોબલ સમિટ અંગેની કોઈ નવિનતમ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દ્વારા તમામ સરકારી વિભાગોના વડાઓને કડક તાકીદ કરવામાં આવી હતી કે, તેમના સંબંધિત વિભાગની કોઈ પણ પ્રકારની નવી યોજના જાહેર થાય તેની સાાથે તેેની માહિતીને પળવારમાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવે કે જેથી ગુુજરાતની જનતા તેને જોઈ શકે. સરકારની જાહેર જનતાાને લગતી તમામ યોજનાઓ અને તેેના થકી મળનારા લાભોની વિગતોને ઝડપથી વેબસાઇટ પર મૂકવામાં આવે તેવો તેમનો આગ્રહ હતો. નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન સચિવાલયના વહીવટી તંત્રના વિભાગોની વેબસાઇટને સતત અપડેટ રાખીને ડિજિટલ ગુુજરાતના સૂૂૂત્રને ખરેેેખર ઓનલાઇન કરી દીધું હતું અને તેઓ ખૂદ તેેની ચકાાસણી કરતા અને તેનુું ધ્યાન રાખતા હતા. મોદીના મુુખ્યમંંત્રી સમય દરમિયાન આઇએએસ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓને ઇ-મેઇલમાં જ કામગીરી કરવાનું તેમનું ફરમાન હતું, એટલું જ નહીં રાજ્યના સામાન્ય અંદાજપત્રને પણ ઓનલાઇન કરી દેવાયું હતું. મોદીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને અપડેટ રાખીને સોશિયલ માધ્યમોના પ્રયોગને ગુજરાતમાં વિકસાવ્યો હતો. અલગ અલગ વિભાગોની વેબસાઇટ તેમજ વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઇટની એપ્લિકેશન પણ તેમણે બનાવીને જનતા માટે ફરતી કરી દીધી હતી. ખૂદ નરેન્દ્ર મોદીની પોતાની વેબસાઇટ અને મુખ્યમંત્રીની સત્તાવાર વેબસાઇટ સતત અપડેટ રહેતી હતી. તે સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો વહીવટી તંત્ર ઉપર ખોફ હતો, ઉચ્ચ અધિકારીઓ તેમનો પડ્યો બોલ ઝીલતા હતા. જ્યારે આજે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે, રાજ્ય સરકારના અન્ય વિભાગો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનો કોઈ આદેશને માનતા નથી. વેબસાઇટ પર માત્ર તારીખનું અપડેટ કરીને વેબસાઇટ અપડેટ્‌સ હોવાના દાવા કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટનું તંત્ર સૌથી વધુ બેદરકારી વધારે દાખવી રહ્યું છે. દિલ્હીમાં રાજ્યોના ચૂંટણી પંચની બેઠકમાં નક્કી થયા પ્રમાણે સ્થાનિક ચૂંટણીના ઉમેદવારોની એફિડેવિટ પણ રાજ્ય ચૂંટણી પંચ ઓનલાઇન કરી શક્યું નથી. આ ઉપરાંત મતદારોને હેલ્પલાઇનમાં પોતાની રજૂઆત કે ફરિયાદ અંગે કોઈ પ્રત્યુત્તર મળતો નથી. ફરિયાદ કે રજૂઆત કરવા લોગઇન કરે છે તો તેમાં એરર દર્શાવે છે, જેના કારણે મતદાર કંટાળી જાય છે.