રાજપીપલા, તા.૧૬  

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ નર્મદા જીલ્લાની સાગબારા-દેડિયાપાડા તાલુકાની રૂા. ૩૦૯/- કરોડની ટ્રાયબલ જુથ પાણી પુરવઠા યોજનાનું ઇ-લોકાર્પણ કરાશે. દેડીયાપાડા તાલુકા મથકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ સાગબારા તાલુકા મથકે આઇ.ટી.આઇ. નજીક તાલુકા વિકાસ અધિકારીની કચેરી પાસે બપોરે ૧૨-૦૦ કલાકે આ ઇ-લોકાર્પણનો સ્થાનિક સમારોહ યોજાશે. તદ્‌ઉપરાંત જિલ્લાના પાનખલા, પીપળીપાડા, ગોડમુખ અને કનખાડી ગામોએ પણ ગ્રામજનો આ ઇ-લોકાર્પણ કાર્યક્રમ નિહાળી શકશે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. નર્મદા જિલ્લાના સાગબારા તથા દેડીયાપાડા તેમજ સોનગઢ તાલુકાના જમણા કાંઠાનો વિસ્તાર ઉકાઇ ડેમ તથા સરદાર સરોવર જળાશયના જળસ્રાવ વિસ્તાર ડુંગરાળ તેમજ ખડકવાળો હોઇ ઉનાળામાં પીવાના પાણીની અછત રહેતી હોવાથી ગ્રામજનોને કાયમી ધોરણે પીવાનુ શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે ઉકાઇ જળાશયમાં સોનગઢ તાલુકાના બોરદા ગામ નજીક ઇનટેક વેલ બનાવી રો-વોટર મેળવી શુધ્ધિકરણ કરી કાયમી ધોરણે પીવાનું શુધ્ધ પાણી નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના ૮૪ ગામો અને ૯ ફળિયાઓ તેમજ દેડિયાપાડા તાલુકાના ૧૧૦ ગામો અને ૧૬ ફળિયાઓ તથા તાપી જીલ્લાના સોનગઢ તાલુકાનાં ૧૧ ગામો અને ૧ ફળિયુ મળી કુલ ૨૦૫ ગામો અને ૨૬ ફળિયાઓની વર્ષ ૨૦૪૬ ની ૫,૦૬,૫૨૯ વસ્તીને શુધ્ધ પાણી પુરૂ પાડવા માટેની આ જુથ પાણી પુરવઠા યોજના સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે, જેના માટે હાલમાં ૩૦.૬૩ એમ.એલ.ડી. ઉકાઈ જળાશયમાં આરક્ષિત રાખવામાં આવેલ છે.