અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતોલી ગામના અને અમદાવાદમાં મજૂરી કરતા નૈનેશ નરસિહ નિનામા નામના શખ્શે ત્રણ ત્રણ લગ્ન કર્યા બાદ પણ સુખી સંસાર ભોગવી નહિ શકતા યુવકે તેના જ ૪ વર્ષીય માસુમ પુત્રને કાળા દોરાથી ગળે ટૂંપો આપી મોત નીપજ્યુ હોવાનું માની કૂવા નજીક તેના ખેતરમાં નાખી દઈ ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી.ખેતરમા બેભાન અવસ્થામાં રહેલા પૌત્રને દાદાએ જોતા જ તાબડતોબ પૌત્રને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. ૪ વર્ષીય પૌત્રનું મોત નિપજતા પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. હત્યારો નૈનેશ ફરાર થઈ ગયો હતો. નૈનેશના પિતાએ તેમના જ હત્યારા પુત્ર વિરુદ્ધ ઇસરી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. હત્યારા પિતાને શોધી કાઢવા જિલ્લા પોલીસવડા સંજય ખરાતે એલસીબી પોલીસને તપાસ સોંપતા એલસીબીએ ગણતરીના દિવસોમાં હત્યારા પિતા નૈનેશ નિનામાને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલવા તજવીજ હાથ ધરી હતી. અંતોલી ગામે રહેતો નૈનેશ નિનામાએ ૪ વર્ષીય પુત્રને મોતને ઘાટ ઉતારી રફુચક્કર થઈ જતા ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પીઆઈ આર.કે.પરમારે હત્યાની ઘટનાને અંજામ આપી પોલીસ પકડથી બચવા ગોંડલ નાસી છૂટેલા હત્યારા નૈનેશ નિનામાને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતા.નૈનેશ નિનામાએ બીજી પત્નીથી થયેલા ૪ વર્ષીય ધ્રુવ તેનું સંતાન ન હોવાના વ્હેમમાં હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું.