ગાંધીનગર, કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને આર્સેલર મિત્તલ દ્વારા ઉમદા પ્રતિસાદ મળ્યો છે એટલું જ નહી, કોરોના મહામારીમાં કોરોનાના દર્દીઓ માટે પોતાના પ્લાન્ટમાં જ કોવિડ હોસ્પિટલ ઊભી કરવાની અનોખી પહેલ કરી છે. મિત્તલની આ પહેલને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આવકારી હતી. મિત્તલ દ્વારા હજીરાના સ્ટીલ પ્લાન્ટના પરિસરમાં આજથી ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલનો આરંભ કરાયો હતો. હોસ્પિટલના બેડને ટૂંક જ સમયમાં જ વધારીને ૧૦૦૦ બેડની હંગામી કૉવિડ હૉસ્પિટલ તરીકે કાર્યરત કરાશે.

કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ ગૃપના લક્ષ્મી મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત જ પ્રતિસાદ આપીને પોતાના પ્લાન્ટ પરિસરમાં જ ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોવિડ હોસ્પિટલનો વીડિયો કોન્ફરન્સિંગથી શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, આર્સેલર મિત્તલે ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતની આ વેળાએ સમાજ પ્રત્યેની જવાબદારી ઉમદા રીતે નિભાવી છે. તેમણે લક્ષ્મી મિત્તલ અને આર્સેલર મિત્તલ પરિવારની આ પહેલને આવકારીને કહ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા એક મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ૪૧ હજારથી વધારીને ૯૨ હજાર જેટલા કર્યા છે. આજે ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટની આ પહેલ આવકારદાયક છે.

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ દેશના ઉત્પાદકોને ઓક્સિજનનું મહત્તમ ઉત્પાદન કરવા અને કોરોનાના દર્દીઓની આવશ્યકતાને પહોંચી વળવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ પણ ગુજરાતના ઉત્પાદકોને કોરોનાની સ્થિતિમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવામાં મદદરૂપ થવાની અપીલ કરી હતી. આર્સેલર મિત્તલ ગ્રૂપના લક્ષ્મી મિત્તલે રાજ્ય અને કેન્દ્ર સરકારના આ આહવાનને સહર્ષ પ્રતિસાદ આપ્યો છે.

રાજ્યના સુરત નજીક હજીરામાં કાર્યરત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પોતાના સ્ટીલ ઉત્પાદન માટે ગેસ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓની જરૂરિયાત માટે ગેસ ઓક્સિજનનું પરિવહન શક્ય નથી હોતું. પરિવહન માટે લિક્વીડ ઓક્સિજન ગેસની આવશ્યકતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ તરફથી અત્યારે પોતાના લિક્વીડ ઓક્સિજન ઉત્પાદનને ૩૦ ટકા વધારી ૧૮૫ મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન ગુજરાતના કોરોનાના દર્દીઓ માટે અપાઈ રહ્યો છે. આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ માટે ઉત્પાદિત ઓક્સિજન ગેસ સ્વરૂપમાં હોવાથી તેનું પરિવહન સંભવ નહીં હોવાથી આ ગેસ ઓક્સિજન કોરોનાના દર્દીઓની સારવાર માટે તરત જ ઉપયોગમાં લઈ શકાય એ હેતુથી સ્ટીલ પ્લાન્ટમાં જ કોવિડ હોસ્પિટલ ઊભી કરાઈ હોય અને તે પણ આવા સમયમાં એવી આ પ્રથમ ઘટના હશે. આ પ્રસંગે આર્સેલર મિત્તલ ગ્રૂપના લક્ષ્મી મિત્તલ કઝાકિસ્તાનથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જાેડાયા હતા. જ્યારે સહયોગી કંપની નિપ્પોન સ્ટીલના પ્રતિનિધિઓ જાપાનથી જાેડાયા હતા. સાંસદ અને ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરથી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ જાેડાયા હતા.