કોલકત્તા-

પેગાસસ જાસૂસી મામલામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસ પંચની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ તપાસ પંચમાં બે નિવૃત જજ સામેલ છે, જે પશ્ચિમ બંગાળમાં ફોન હેકિંગ, ટ્રેકિંગ અને ફોન રેકોર્ડિંગના આરોપોની તપાસ કરશે. મમતા દિલ્હી જતા પહેલા કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. મમતા બેનર્જીએ કહ્યું- અમે ઈચ્છતા હતા કે પેગાસસ જાસૂસી કાંડની તપાસ માટે કેન્દ્ર પંચ બનાવવામાં આવે, પરંતુ કેન્દ્ર સરકાર કંઈ કરી રહી નથી.

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન લોકુર પંચના અધ્યક્ષ હશે. જ્યારે કોલકત્તા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જ્યોતિરમય ભટ્ટાચાર્ય બીજા સભ્ય હશે. મમતા બેનર્જીએ કહ્યું કે, પેગાસસના માધ્યમથી ન્યાયપાલિકા અને નાગરિક સમાજ સહિત દરેક કોઈ નજરમાં છે. અમને આશા છે કે સંસદ દરમિયાન, કેન્દ્ર એસસી પર્યવેક્ષણ હેઠળ તપાસ કરશે, પરંતુ તેમણે ન કર્યું. પશ્ચિમ બંગાળ પંચ શરૂ કરનાર પ્રથમ રાજ્ય છે. મમતાએ કહ્યું પેનલ તપાસ કરશે, હેકિંગ કોણ કરશે, તેમણે આ કઈ રીતે કર્યું અને લોકોના અવાજને કેમ દબાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, તપાસ પંચ અધિનિયમ હેઠળ પેનલની રચના કરવામાં આવી રહી છે. દિલ્હી જતા પહેલા કેબિનેટની બેઠકમાં અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે.