નડિયાદ : સમગ્ર દેશમાંથી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ કેવડિયા જતી આઠ જેટલી ટ્રેનનો પ્રારંભ કરાવ્‍યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો-કોન્ફરન્સ માધ્યમ દ્વારા વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. અમદાવાદથી પ્રસ્થાન થયેલી ટ્રેન સરદાર વલ્લભ પટેલની જન્મભૂમિ નડિયાદ રેલવે-સ્ટેશન પર રોકાઈ હતી. ખેડા જિલ્લાના ૫૬ મહાનુભાવોને કેવડિયા-દર્શન અર્થે મોકલવામાં આવ્યા હતા. ટ્રેન આવતા પહેલા રેલ્વે સ્ટેશન પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનમાં જય સરદારના નારા સાથે નડિયાદના ૫૬ જેટલા નામાંકિત વ્‍યક્તિઓ/સંતો/વિદ્યાર્થીઓએ કેવડિયા ખાતે પ્રસ્‍થાન કર્યું હતું. 

દંડક પંકજ દેસાઈએ વડાપ્રધાનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, લોખંડી સરદાર પટેલની પ્રતિમાને લોકો નિહારી શકે તે માટે આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. દરેક પ્રવાસી માટે કેવડિયા યાદગાર સ્થળ બની રહ્યું છે. દેશ-વિદેશથી પ્રવાસી સરદાર પટેલની ઊંચી પ્રતિમા જાેવા આવી રહ્યાં છે. દરેક ખેડાવાસી માટે આ ઉત્સવની ઘડી છે. નડિયાદ રેલવે સ્ટેશન ખાતે આ ઐતિહાસિક ક્ષણે બાળકો દ્વારા દેશની કિર્તીને સમર્પિત એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કેવડિયા મુસાફરી કરતાં વડતાલના મહંત સ્વામીજીએ કહ્યું હતું કે, આજે સમગ્ર રાષ્ટ્રને માટે ગૌરવનો દિવસ છે. ટ્રેનના શુભારંભના પ્રસંગે મને મુસાફરીની તક આપી તે બદલ હું દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર વ્યક્ત કરું છું. આ વિકાસકાર્ય સરદાર અને ગુજરાતની કિર્તીમાં ચાર ચાંદ લગાવી દેશે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ ગૌરવ ઘડીને આવકારતા કહ્યું હતું કે, આજે વિશ્વના દેશોની જેમ ભારત પણ પ્રવાસીનું કેન્દ્ર બની રહ્યું છે. વડાપ્રધાનના આ વિકાસકાર્યથી ગુજરાતની કિર્તીમાં વધારો થશે. કેવડીયાના આસપાસના હોટલ-ઉદ્યોગ, ખાણી-પીણી તેમજ ત્યા વસતાં આદિવાસીઓનો વિકાસ થશે. જાહેર સર્વે મુજબ કેવડિયા ખાતે છેલ્લા ૨ વર્ષ દરમ્યાન તાજમહેલ કરતા પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત કરી છે.

ટ્રેન આવતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, દંડક પંકજ દેસાઇ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્‍લા પંચાયત પ્રમુખ મતી નયનાબેન પટેલ, ધારાસભ્ય કેસરસિંહ સોલંકી, જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્‍લા પોલીસ અધિક્ષક દિવ્‍ય મિશ્ર, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, રેલવે સ્‍ટેશન માસ્‍તર, પદાધિકારીઓ અને અધિકારી સહિત મોટી સંખ્‍યામાં દેશભકતો અને નગરજનો ઉપસ્‍થિત રહી મુસાફરોને હર્ષોલ્‍લાસ સાથે વિદાય આપી હતી. અંતે રેલવેને લીલી ઝંડી બતાવી મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.