છોટાઉદેપુર -

 સંસદીય પ્રણાલીમાં જન પ્રતિનિધિ તરીકે શ્રેષ્ઠ યોગદાન આપનારા સભ્યોને શ્રેષ્ઠ સભ્ય તરીકે લોકસભા, રાજ્યસભામાં સન્માનવાની પરંપરા છે. ભારતીય સંસદના બંને ગૃહોમાં અત્યાર સુધી કુલ ૨૩ સભ્યોને ઉત્કૃષ્ટ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાએ પ્રણાલીને અનુસરતા  શ્રેષ્ઠ વિધાનસભ્યના એવોર્ડ આપવાની પ્રથા શરૂ કરી છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સભ્યોને એવોર્ડ આપવાની યોજનાની જાહેરાત કરાઇ હતી.

વર્ષ ૨૦૧૯ માટે વરિષ્ઠ  ધારાસભ્ય મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભામાં આ નવી પરંપરા શરૂ કરવા માટે વિધાનસભા અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, વિધાનસભા અને લોકસભા એ દેશની લોકશાહીના મૂલ્યોના જતન અને તેને સાચવવા સંવર્ધન માટેના સર્વોચ્ચ કેન્દ્રો છે. તેને લોકશાહીના મંદિર કહેવાયા છે. મંદિરમાં બેસનારા સૌનું વર્તન, વિચાર, વાણી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની સક્રિયતા એવા હોય કે એ બધા માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બને. આ પ્રણાલી આવનારા દિવસોમાં વધુ ઉજ્જવળ બનશે. પ્રજાના પ્રતિનિધિઓ માટે એક નવી પરિપાટી ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્ય સભાના સભ્ય તરીકેના કાર્યકાળનું સ્મરણ કરતાં કહ્યું કે, સારા સાંસદ કે વિધાયક બનવા માટે સારા શ્રોતા અને ગૃહમાં નિયમિત હાજરી, અવલોકન શક્તિ આવશ્યક છે. આવા સભ્ય જ્યારે કોઈ રજૂઆત કરે કે ચર્ચાને અંતે સહભાગી થાય ત્યારે સચોટતા અને બારીકાઈ મળે છે.