દિલ્હી-

દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને નિષ્ફળ ગણાવી છે. રાહુલ ગાંધીએ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીન રિપોર્ટને ટાંકીને કહ્યુ હતુ કે, નથી વેક્સીન અને નથી રોજગાર, તદ્દન ફેલ છે મોદી સરકાર..

રાહુલ ગાંધીએ જે રિપોર્ટનો હવાલો આપ્યો છે તેમાં કહેવાયુ છે કે, એપ્રિલમાં બેરોજગારી દર વધીને આઠ ટકા થયો છે. કોરોનાના મહામારી દરમિયાન જે પણ આકરા પ્રતિબંધો લગાવાયા છે તેની અસર દેખાઈ રહી છે. એપ્રિલ મહિનામાં ૭૫ લાખ લોકોએ નોકરી ગુમાવી છે. આ પહેલા રાહુલ ગાંધી વેક્સીનેશનની ધીમી ગતિ, ઓક્સિજનની અછત અને લોકોની બગડેલી આર્થિક સ્થિતિ પર પણ સરકારની ઝાટકણી કાઢી ચુક્યા છે. રાહુલ ગાંધીએ સરકારને દિલ્હીમાં નવુ સંસદ ભવન બનાવવા પર ધ્યાન આપવાની જગ્યાએ લોકોને સારી સારવાર મળે તેના પર ધ્યાન આપવાની માંગ કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, સરકારે નવા સંસદ ભવન કરતા પહેલા લોકોને રસી મળે તેના પર ધ્યાન આપવાની જરુર છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પીએમ મોદીનો અહંકાર દેશના લોકોના જીવ કરતા વધારે મોટો છે.