દિલ્હી-

કોરોનાની બીજે લહેરમાં રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે કે સંક્રમિત લોકોમાંથી 99 ટકા લોકો સાજા થઇ રહ્યા છે. કોરોના વાયરસની બીજી લહેર જ્યારથી દેશમાં આવી છે ત્યારથી ભયંકર દૃશ્યો દેખાઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યો એવા છે, જ્યાં દરરોજ હજારો કેસ નોંધાય છે. ઓક્સીજનની અછતના કારણે પણ ઘણા લોકોના મૃત્યુ થયા છે. સોશિયલ મીડિયા, ટીવી ન્યુઝ, અખબારો, તમામ માધ્યમો કોરોનાના સમાચારોથી છલકાઇ ગયા છે. લોકો એકબીજાની મદદ કરીને એક દાખલો બેસાડી રહ્યા છે. આ બધા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.

ભયના આ વાતાવરણની વચ્ચે એક એવો આંકડો સામે આવ્યો છે જે ભયમાં રહેતા લોકોને મોટી રાહત આપી રહ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરના કહેરમાં મોટાભાગના લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. જોકે દેશમાં પહેલી લહેરની સરખામણીએ આ વખતે દૈનિક મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ જો ટકાવારી પર નજર કરવામાં આવે તો તે ટકાવારી ઘણી ઓછી છે, જો કે, ઘણા સ્થળોએ એવા અહેવાલો પણ બહાર આવ્યાં છે કે સરકારી આંકડા કરતા મૃત્યુની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા હોવાથી આ મૃત્યુ નોંધાઈ રહ્યા નથી.

સરકારી આંકડા મુજબ, દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.12 ટકા છે, જેનો અર્થ છે કે લગભગ 99 ટકા દર્દીઓ આ રોગને હરાવીને સ્વસ્થ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સાડા ત્રણ લાખ નવા કોવિડ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 1 કરોડ 73 લાખ થઈ ગઈ છે. સંક્રમિતોની આ સંખ્યામાંથી 1.95 લાખ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આ પ્રમાણે દેશમાં મૃત્યુ દર માત્ર 1.12 ટકા છે.

કરોના સંક્રમિત મોટા ભાગના લોકો ઘરે સારવાર લઇ સ્વસ્થ થઇ રહ્યાં છે. 85-90 ટકા દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવાની જરૂર નથી. ઓક્સિજનની તંગી વચ્ચે પણ રાહતની બાબત એ છે કે માત્ર બહુ ઓછી સંખ્યામાં લોકોને મેડીકલ ઓક્સિજનની જરૂર હોય છે. મોટાભાગના લોકો હોસ્પિટલ ગયા વગર અને મેડીકલ ઓક્સિજન વિના ઘરે જ રોકાઈ રહ્યા છે અને સ્વસ્થ થઇ રહ્યાં છે. હોસ્પિટલોમાં દાખલ 28 ટકા દર્દીઓ વેન્ટિલેટરમાં સુધી લઇ જવામાં આવે છે. પહેલી લહેરમાં આ આંકડો 37 ટકા હતો. સોમવારે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.20 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે.