દાહોદ-

રાજ્યકક્ષાનાં ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણી દાહોદના નવજીવન આટ્‌ર્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. કોરોના વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે માત્ર આમંત્રિતોની ઉપસ્થિતિમાં જ આ ઉજવણી કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુરૂપ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની ઉજવણી કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિતિની સંખ્યા પર નિયંત્રણ રાખીને કરવામાં આવે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીનાં કહેવા મુજબ, તા.૨૬ના રોજ આમંત્રિતોને સવારના ૮.૩૦ વાગ્યા પહેલા કાર્યક્રમ સ્થળે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. માત્ર આમંત્રિતોને કાર્યક્રમના સ્થળે પ્રવેશ આપવામાં આવશે.

ઉક્ત બાબતે કલેક્ટર વિજય ખરાડી અને એસપી હિતેશ જાેયસરે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુરૂપ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને બેઠક વ્યવસ્થા પણ તેને અનુરૂપ ગોઠવવામાં આવી છે. ઉપસ્થિતોની સંખ્યા પણ બહુ જ મર્યાદિત રખાઈ છે. પ્રવેશ માટે બે દ્વારમાંથી માત્ર આમંત્રણ પત્રિકા ધરાવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે અને આ બાબતનું ચોક્કસાઇથી પોલીસ દ્વારા પાલન કરાવવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે કોલેજ ગ્રાઉન્ડ પર આવનાર આમંત્રિતો માટે કલર કોડ પ્રમાણે પ્રવેશ દ્વાર રાખવામાં આવ્યા છે

અને એ જ પ્રમાણે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રેડ કલર માટે રેલ્વેના મેદાનમાં, ગોલ્ડન અને સિલ્વર કલર માટે પોલીટેકનિક કોલેજ તથા ઇજનેરી કોલેજના મેદાનમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના અંગે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકામાં ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આમંત્રિતો પણ પ્રવેશ વખતે સામાજિક અંતરનું પાલન કરે એ જરૂરી છે સાથે જ માસ્ક પહેરવું પણ ફરજિયાત છે. પાણી પીવા સમયે અથવા અન્ય કોઇ પ્રસંગે પણ કાર્યક્રમના સ્થળે સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. ઉપરાંત સેનિટાઇઝરના ઉપયોગથી વારંવાર હાથ સાફ કરતા રહેવું પડશે.