મુંબઇ

ડ્રગ્સ કેસમાં જેલમાંથી પરત થયેલી રિયા ચક્રવર્તી હવે નવું ઘર શોધી રહી છે. પરિવાર સાથે ઘરની તપાસમાં મુંબઈના ખાર વિસ્તારમાં ગયેલી એક્ટ્રેસનો એક વીડિયો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ એક્ટ્રેસ અને તેના પરિવારને સોસાયટી તરફથી ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં રિયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી અને માતા સંધ્યા ચક્રવર્તી ઘર શોધતા દેખાઈ રહ્યા છે. 

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ રિયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને ડ્રગ્સના વપરાશ અને ખરીદીના આરોપમાં અરેસ્ટ કર્યા હતા. ડ્રગ્સ કેસમાં 8 સપ્ટેમ્બરે અરેસ્ટ થયેલી રિયાને 30 દિવસ પછી બોમ્બે હાઇકોર્ટથી જામીન મળ્યા હતા. 

આ પહેલાં તેના સાંતાક્રુઝ સ્થિત ફ્લેટ બહાર રોજ મીડિયાકર્મીનો જમાવડો જોવા મળતો જતો. આ દરમ્યાન સોસાયટીના અમુક લોકોએ રિયા અને તેના પરિવાર પર નારાજગી વ્યક્ત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે જેલથી પરત ફર્યા બાદ હવે ચક્રવર્તી પરિવાર પર ઘર છોડવાનું પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે. 

ઓગસ્ટમાં રિયા ચક્રવર્તીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેની બિલ્ડિંગ નીચે પેપરાઝીનો જમાવડો લાગ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસ પાસે રિયાએ પ્રોટેક્શનની માગ પણ કરી હતી. રિયા જેલથી પરત ફરી ત્યારબાદ પણ ઘણીવાર પેપરાઝી તેનો પીછો કરતા દેખાયા છે. આનાથી ત્રસ્ત થઈને પરિવાર રહેવા માટે નવી જગ્યા શોધી રહ્યા છે. 

એક્ટર સુશાંત સિંહના મૃત્યુને 6 મહિનાથી વધુ સમય થઇ ગયો પણ CBI, ED અને NCB હજુ સુધી આ કેસની તપાસ જ કરી રહી છે.હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હત્યા છે કે આત્મહત્યા. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર CBI ને આમાં મર્ડરના કોઈ પુરાવા નથી મળ્યા.