રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ બી.કોમ, બીબીએ સહિતની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ત્રીજા તબક્કાની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ ૧૨૦ કેન્દ્રો પર ૩૮૩૭૯ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી બીજા તબક્કાની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. હવે આગામી ૧૧મી જાન્યુઆરીથી ત્રીજા તબક્કાની પરિક્ષાઓનો પ્રારંભ થશે. આ પરીક્ષામાં કુલ ૧૨૦ કેન્દ્રો રહેશે જેમાં બી.કોમ સેમ-૩ના ૩૦૬૧૬, બી.બી.એ સેમ-૩ના ૩૫૨૪, બી.સી.એ સેમ-૩ના ૩૬૪૭, બીએસ. સી.આઈ.ટી સેમ-૩ના ૧૯૮, એમ.એડ સેમ-૩ના ૩૦૦, એમપી.એડ સેમ-૩ના ૫૦ અને બી.એ.એલ.એલ.બી સેમ-૫ના ૪૪ વિદ્યાર્થીઓ સહિત ૩૮૩૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ કોલેજોને હાલ કોઈ અન્ય પરીક્ષાનું આયોજન ન કરવા અને કોલેજો ખાલી રાખવા પણ સૂચના અપાઈ છે. વધુમાં તેઓએ જણાવાયું હતું કે, પરીક્ષામાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે અને પરિક્ષા આપતી વખતે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.પરીક્ષામાં ચોરી અટકાવવા યુનિવર્સિટીમાંથી ૧૨૦ કેન્દ્રો પર ૮૦ ઓબ્ઝર્વરની પણ નિમણુંક કરવામાં આવી છે.