પાલનપુર : બનાસ ડેરીની ૧૯ ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે. ૨૦ ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ગુજરાત સહિત દેશભરની નજર બનાસડેરીની ચૂંટણી પર મંડાણી છે. બીજી તરફ બનાસડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાના ફક્ત બે જ દિવસ બાકી હોવાથી સોમવારેે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. વર્તમાન નિયામક મંડળના ૧૩ ડિરેક્ટરો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સાથે તેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કરતા આગામી વર્ષોમાં બનાસડેરીનું ટર્નઓવર પશુપાલકોના હિતમાં કામ કરવાની વાત કરી હતી. બીજી તરફ તેમને હરાવવા માટે તેમના વિરોધીઓ પણ સક્રિય થઈ ગયા છે. 

શંકરભાઈ ચૌધરી સિવાય જિલ્લાના અનેક દિગ્ગજ નેતાઓએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બનાસડેરીની ચૂંટણી માટે મંગળવારે બાકી રહેલા ઉમેદવારો પોતાનું ફોર્મ ભરશે. જેમાં બનાસડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ પોતાનું ફોર્મ ભરશે. માવજી દેસાઈએ શંકર ચૌધરી સામે ખુલ્લો બળવો કર્યો છે અને તેઓ શંકર ચૌધરી સામે પેનલ બનાવે તેવું સ્પષ્ટ લાગી રહ્ય્šં છે. બીજી બાજુ સાંસદ પરબત પટેલ પણ શંકર ચૌધરી સામે માવજી દેસાઈ સાથે મળીને પેનલ બનાવે તેવી ચર્ચાઓએ જાેર પકડ્યું છે. બનાસકાંઠાના અનેક ખેડૂત આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને નેતાઓ શંકર ચૌધરીને હરાવવા એક થઈ ગયા હોવાની અનેક વાતો વહેતી થતાં જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. બીજી બાજુ રાજનીતિના એક્કા ગણાતા શંકર ચૌધરીએ પોતાની પ્રતિષ્ઠા અને સત્તા ટકાવી રાખવા માટે છેલ્લા ૬ માહિનાથી જ બનાસડેરીની ચૂંટણી જીતવા માટે અનેક યોજનાબદ્ધ રણનીતિ બનાવીને કામ શરૂ કરી દીધું હતું.