અરવલ્લી, તા.૨૫      

કોરોનાના મહામારીના કારણે વિદ્યાર્થીઓ કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે સમગ્ર રાજયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અરવલ્લી જિલ્લાની ૨૬૨ શાળાઓનો પણ સમાવેશ થાય છે. આ શાળાઓના વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ મળી રહે તે માટે હોમ લર્નિગ થકી શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં અરવલ્લી જિલ્લાના ૩૧૦૭૧ વિદ્યાર્થીઓને ઘર આંગણે જ્ઞાન ગંગા મળી રહી છે.

લોકડાઉન દરમિયાન ધો-૧૦ અને ૧૨ ની માર્ચ-૨૦૨૦ પરીક્ષાના પ્રશ્નપત્રોની ચકાસણીનું કામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા કામગીરી કરાઇને પરીણામ બાદ વિદ્યાર્થીઓઓના શિક્ષણ કાર્યને માઠી અસર ન થાય તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ડી.ડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ મારફતે હોમ લર્નિગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભિલોડા તાલુકાની ૭૪ શાળાના ૮૬૦૯ વિદ્યાર્થીઓ, મોડાસાની ૫૯ શાળાના ૮૬૩૧, મેઘરજની ૪૫ શાળાના ૨૯૦૪, બાયડની ૪૬ શાળાના ૬૦૯૩, ધનસુરાની ૧૪ શાળાના ૨૨૧૯ અને માલપુરની ૨૪ શાળાના ૨૬૧૫ વિદ્યાર્થીઓ મળી કુલ ૨૬૨ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધો ૯ થી ૧૨ના ૩૧૦૭૧ વિદ્યાર્થીઓએ હોમ ર્લનિંગ અભ્યાસનો લાભ લઇ રહ્યા છે. શાળાઓ મારફતે છેવાડાના ગામના વિદ્યાર્થીઓ સુધી ચેનલ પર પ્રસારિત થનાર કાર્યકમનું ધોરણવાર સમયપત્રક પહોચાડવા ઉપરાંત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓએ કયા એકમ-વિષય અંગે અભ્યાસ કર્યો પૃચ્છા કરી શિક્ષણ સાથે જોડાવામાં આવી રહ્યા છે. જયારે ધો. ૧૦ -૧૨માં જિલ્લામાં ઓછા પરિણામ ધરાવતી શાળાઓ પરિણામના ગુણાત્મક સુધારો આવે તે માટે વિજ્ઞાન પ્રવાહના મહત્વના વિષયોનું સ્ટડી મટીરીયલ તૈયાર કરાયું છે.