ગાંઘીનગર-

રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રેસનોટમાં કહ્યું હતું કે મંદિરો હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. જેના કારણે તેને ગુજરાતમાં બંધ ન રાખી શકાય. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાત સરકારે નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને કોરોનાની મહામારી વચ્ચે મંદિર ચાલુ રાખવા કહ્યું છે. બુધવારે યોજાયેલી કૅબિનેટની મિટિંગ પછી સરકારે મંદિર ખોલવાની જાહેરાત કરી હતી. આના એક દિવસ અગાઉ પાવાગઢ મંદિરને 17 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ટાંકીને લખવામાં આવ્યું હતું કે ધાર્મિક સ્થળો અને મંદિરો હજારો લોકોની આસ્થાનું પ્રતીક છે, જેને શ્રદ્ધાળુઓ માટે બંધ ન રાખી શકાય. કોરોના વાઇરસના ફેલાવાને ચકાસીને, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું સરખી રીતે પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરીશું. સરકારે અનલોક-1થી તમામ મંદિરના દર્શન ગાઇડલાઇનના આધારે ખોલ્યા છે. સરકારે એક પણ મંદિર બંધ નથી કર્યું. આ ઉપરાંત પ્રસાદ પૅકિંગમાં આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.