ગાંધીનગર-

રાજ્ય સરકારે રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂપિયા 50ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મિલ્ક પાવડર (દૂધનો પાવડર)ના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરની નિકાસ ઘટી છે, ત્યારે રાજ્યના સહકારી દૂધ સંઘો પાસે હાલ અંદાજે રૂપિયા 1,850 કરોડની કિંમતનો 90,000 મેટ્રીક ટન દૂધ પાવડરનો જથ્થાનો ભરાવો થયો છે. જેનું સીધું નુકસાન દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોને થાય છે. જેથી પશુપાલકો અને જિલ્લા સંઘોને થતું આ નુકસાન અટકાવવા માટે દૂધના પાવડરની નિકાસ થાય તે જરૂરી છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દૂધના પાવડર કરતાં અન્ય દેશોના દૂધનો પાવડર સસ્તા ભાવે વેચાઇ રહ્યો છે. જેથી આપણા દૂધના પાવડરની નિકાસ કરવી હોય તો નીચા ભાવે દૂધનો પાવડર વેચવો પડે અને જો દૂધ સંઘો નીચા ભાવે દૂધના પાવડરની નિકાસ કરે તો ખૂબ મોટું આર્થિક નુકસાન સહન આવશે. જે દૂધ સંઘો ઉપાડી શકે તેમ નથી. જેને ધ્યાનમાં રાખીને અમૂલ ફેડરેશનના ચેરમેન, વાઇસ ચેરમેન, એમ.ડી.આર.એસ.સોઢી અને જિલ્લાના અન્ય દૂધ સંઘોએ CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને દૂધના પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર સહાય આપે તેવી રજૂઆત કરી હતી. જેથી રાજ્ય સરકારે, 1 નવેમ્બર 2020થી 6 મહિના સુધી અમૂલ દ્વારા જેટલા દૂધના પાવડરની નિકાસ કરવામાં આવે, તે પાવડર પર પ્રતિ કિલો 50 રૂપિયા રાજ્ય સરકાર તરફથી સહાય આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં રૂપિયા 150 કરોડની મર્યાદામાં રાજ્ય સરકાર આ સહાય દૂધ સંઘોને આપશે. જેના કારણે લગભગ 50,000 મેટ્રીક ટનથી વધુ દૂધના પાવડરની નિકાસ થઇ શકશે. જેથી દૂધના પાવડરના સ્ટોકમાં ઘટાડો થતાં દૂધની ડેરીની રકમ છૂટી થશે અને વ્યાજનું ભારણ ઘટશે. આ સાથે જ દૂધ સંઘોની આવકમાં પણ વધારો થશે.