ગાંધીનગર, ગુજરાતનું અને દેશનું ગૌરવ એવા એશિયાટીક સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ માટે સતત ચિંતન કરીને સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં ૨૯ ટકાનો વધારો થયો છે તેમ રાજ્યના વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં વન મંત્રી વસાવાએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૫માં જ્યારે સિંહની ગણતરી થઈ હતી ત્યારે ૫૨૩ સિંહ હતા. જ્યારે વર્ષ ૨૦૨૦માં પુનઃ અવલોકન થયું હતું તેમાં ૬૭૪ સિંહ નોંધાયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સિંહોના અકુદરતી મૃત્યુ અટકે એ માટે રાજ્ય સરકાર દ્વારા સઘન આયોજન કરાયું છે. જેમાં સિંહોના રક્ષણ માટે રૂા. ૩૩ કરોડના ખર્ચે ૪૩ હજાર કૂવાઓને પારાપેટ વોલ બનાવાઇ છે, જેના પરિણામે આ શક્ય બન્યું છે.

આ માટે ક્ષેત્રિય સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી, ટેબલેટથી સુસજ્જ કરી સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. ઉપરાંત, પોલીસ વિભાગ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ દ્વારા સંયુક્ત પેટ્રોલીંગ કરાય છે એટલું જ નહીં, વન્ય પ્રાણીના રેસક્યુ માટે રેપીડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરાઇ છે. તેમજ ચેકીંગ નાકા પર પરમીશન વગર લોકો ઘૂસી ન જાય તે માટે સી.સી. ટીવી કેમેરા તથા હાઇટેક મોનીટરીંગ યુનિટ કાર્યરત કરીને ૨૯૩ વન્ય પ્રાણી મિત્રો, ૧૬૦ ટ્રેકર્સ કાર્યરત કરાયા છે. તેમણે ઉમેર્યુ હતું કે, સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને બિમારી, અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિયુક્ત કરીને દેશભરમાં પ્રથમવાર ચાર લાયન એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે તથા વન્ય પ્રાણી સારવાર કેન્દ્રો કાર્યરત છે. સિંહોના વિચરણનું સતત મોનીટરીંગ કરવા માટે સિંહોને રેડિયો કોલર્સ લગાવાયા છે. અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેરમાર્ગો પર સ્પીડ બ્રેકરો, આઇસવોર્ડ મૂકાયા છે તથા રાજુલા-પીપાવાવ, રેલ્વે ટ્રેકની આજુબાજુ ચેઇનલીંક ફેન્સીંગ કરાઈ હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.