દિલ્હી-

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરુ થવા જઇ રહ્યું છે. જેની અસર હવે દેશમાં ચાલતા અન્ય રસીકરણ અભિયાનો ઉપર થઇ રહી છે. કોરોના વેક્સિનેશનના કારણે સ્વાસ્થ્ય મંત્રાલયે પોલિયો અભિયાનને સ્થગિત કરવાનો મહત્વનો ર્નિણય કર્યો છે. 17 જાન્યુઆરીએ દેશભરમાં પોલિયો રસીકરણ દિવસની ઉજવણી થવાની હતી, જેને આગલા આદેશ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે આ વાતની માહિતિ આપવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આકસ્મિક ગતિવિધિઓના કારણે પોલિયો અભિયાન સ્થગિત કરવનાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પોલિયો અભિયાન માટે જે ટીમો કામ કરે છે તે ટીમો હવે કોરોના વેક્સિનેશન માટે કામ કરશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં મોટા પ્રમાણમાં પોલિયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે. જેના કારણે ભારત 27 માર્ચ 2014ના દિવસે જ પોલિયો મુક્ત બન્યો હતો. ત્યારબાદ પણ સાવધાનીના ભાગરુપે પોલિયો રસીકરણ શરુ રાખવામાં આવ્યું છે. જેથી કોઇ બાળક પોલિયોનો શિકાર ના બને.

દર વર્ષે લાખો બાળકોને પોલીયોની રસી આપવામાં આવે છે. ભારત દુનિયાનું સૌથી મોટું પોલિયો અભિયાન ચલાવે છે. ત્યારે હાલ પુરતી તેના પર રોક લગાવવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આગલા આદેશ સુધી તેને સ્થગિત કરવામાં આવ્યું છે. વર્તમાન સમયે કોરોના મહામારી સામે લડવાનું સૌથી જરુરી હોવાથી આ ર્નિમય કરવામાં આવ્યો છે.