શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે સવારે એક વિસ્તારમાં છૂપાયેલા આંતકવાદીઓની આગોતરી માહિતી મળી જતાં સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તે પૈકીના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓ શોપિયાંના બુડીગામ ખાતે છૂપાયેલા હતા.

લશ્કર-એ-તૈયબાના આ આતંકવાદીઓ છૂપાયા હોવાની આગોતરી માહિતી મળી જતાં સુરક્ષાદળોના જવાનોએ વહેલી સવારથી જ સૂત્રોને કામે લગાડીને પહેરો ગોઠવી દીધો હતો. તક મળતાં જ જવાનોએ આતંકવાદીઓને ઘેરીને તેમના પર ફાયરીંગ ચાલુ કરતાં આતંકવાદીઓ પ્રતિકાર કરે એ પહેલા જ તેમને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓ જ્યાં છૂપાઈને બેઠા હતા ત્યાંથી બે એ કે 47 અને એક પિસ્તોલ મળી આવી હતી. આ ઓપરેશનમાં એક એસપીઓ પણ શહીદ થયા હતા અને વધુ એક જવાનને ગોળી લાગતાં તે ગંભીર રીતે ઘવાયો હતો.