આણંદ, તા.૧૨ 

આણંદ તાલુકાના ખાંધલી ગામની સીમમાં ૬ દિવસ પૂર્વે એક સગીર વયની બાળા ઉપર સામુહિક બળત્કાર ગુજારનાર ત્રણ સખશોને આણંદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યાં છે. પકડાયેલાં ત્રણ સખશોમાં એક આણંદ તાલુકાના ચિખોદરા ગામનો રહિશ છે, જ્યારે અન્ય બે બોરસદ તાલુકાના નાપા-તળપદ ગામના રહીશ છે. આણંદ તાલુકાના ચિખોદરા ગામે ઘડસાપુરા (ખટારપુરા) સીમમાં રહેતા રાજેશ ઊર્ફે રાજુ મનહરભાઈ ઉર્ફે ભલાભાઈ પરમાર નામના સખશે ગામની જ કિશોરી સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીને ગત તારીખ ૪ના રોજ સવારના ૧૧ કલાકના સુમારે આણંદ શહેરની ગણેશ ચોકડી પાસેથી અપહરણ કરીને ખાંધલી ગામની સીમમાં એક નીલગીરી ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેણીનં ઉપર જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. આ સમયે મુસ્તાકઅલી મહેબૂબ સૈયદ (રહે નાપા તળપદ, તા.બોરસદ) અને ઈમરાન અકબરમિંયા કાજી (રહે નાપા તળપદ, તા.બોરસદ) ત્યાં આવી ચડ્યાં હતાં. સગીર વયની બાળાનો મોબાઇલ વિડીયો ઊતારેલો છે, તેવી ધાકધમકી આપી નજીકના નીલગીરીના ખેતરમાં લઈ ગયાં હતાં. આ બંને નરાધમોએ પણ તેની ઉપર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. એટલું જ નહિ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સગીર વયની બાળા પાસેથી રૂ.૧૦૦૦ની માગણી કરી હતી.

ઘટનાના ચાર દિવસ બાદ તા.૮ના રોજ ઉક્ત બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ત્રણેય નરાધમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે આ ગુનામાં ચિખોદરા અને નાપા તળપદના ઉક્ત ત્રણેય સખશોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.