અમદાવાદ-

રાજ્યમાં ભૂગર્ભ જળ સપાટીને નુકસાન કરીને પાણીનો કારોબાર કરનારા મામલે થયેલી જાહેરહિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ભૂગર્ભ જળ સપાટીને નુકસાન કરીને પાણીનો કારોબાર કરનારાઓ સામે લાલ આંખ કરી છે. ભૂગર્ભ જળની સપાટીને જાળવવા મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને કાયદો ઘડવા માટે આદેશ કર્યો છે.

હાઇકોર્ટે કહ્યું કે, આપણાં પ્રાકૃતિક સ્ત્રોતની જાળવણી કરવી આવશ્યક છે. ખાનગી પાણીનો બોર હોય એનો મતલબ એ નથી કે મનફાવે તેમ એનો ઉપયોગ કરવો. આજે પણ કેટલાય વિસ્તારોમાં લોકોને પાણી મળતું ન હોવાના સમાચાર સામે આવે છે. રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના કાયદા મુજબ કાયદો બનાવે. પ્રાકૃતિક સ્ત્રોત તરીકે પ્રત્યેક વ્યક્તિનો તેના ઉપર એકસમાન અધિકાર છે.સ્થાનિક ઓથોરિટી તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આદેશ કર્યો છે કે આવી પ્રવૃત્તિઓને રોકવી જરૂરી છે. જાહેર હિતની અરજીમાં અરજદારની માંગણી હતી કે પાણીના આવા કારોબાર અંગે યોગ્ય નિર્દેશ જારી કરવામાં આવે. ગેરકાયદે પાણીનો વેપાર કરનારાઓ સામે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે.

ગુજરાતમાં ભૂગર્ભ જળમાં ચિંતાજનક રીતે ભૂગર્ભ જળ સપાટી ઘટી રહી છે. ૨૦૧૯માં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા કરાવવામાં આવેલા એક સર્વે મુજબ ગુજરાતમાં ૬૫૭ બોર-કૂવામાંથી ૪૧૩માં ઘટાડો એટલે કે ૬૩ ટકા બોર-કૂવાના સ્તરમાં ઘટાડો નોંધાયો છે.ગ્રાઉન્ડ વોટર બોર્ડનું કહેવું છે કે, પાણીની માગ વધી છે, પાણીનો બગાડ વધુ થઈ રહ્યો છે, વરસાદ નિયમિત નથી, વસતિનું પ્રમાણ વધી રહ્યું છે, શહેરીકરણ વધ્યું છે અને ઔદ્યોગિકરણ પણ વધ્યું છે, સાથે જ રેઈન વોટર હાવેર્સ્ટિંગની દીશામાં જે કામ થવું જાેઈએ તે થયું નથી જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જાે પાણીના સંગ્રહ મામલે ગુજરાતમાં નક્કર પગલા નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર સમસ્યા ઊભી થઈ શકે તેમ છે.