દે.બારીયા, દેવગઢ બારિયા તાલુકાના પિપલોદ ગામે સાસરીમાં જવા નીકળેલા બે પિતરાઈ ભાઈઓની મોટરસાયકલ અને મારુતિ વાન વચ્ચે રાતે દેવગઢબારીયાના પિપલૉદ માતાનાવડ પાસે બારીયા રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતાં તેને નજીકના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો. 

 દેવગઢબારિયા તાલુકાના કાલીયાગોટા ગામે મેડી ફળિયામાં રહેતા રમેશભાઈ માવસિંગભાઈ પટેલ તથા તેના કાકાનો છોકરો કીર્તનભાઈ લાખાભાઈ પટેલ એમ બંને પિતરાઈ ભાઈઓ તેમની જીજે.૨૦.એએ.૦૧૩૭ નંબરની મોટરસાયકલ લઈ કાલીયાગોટા થી પીપલોદ સાસરીમાં તથા બજારમાં ફરીને આવીએ તેમ કહી રાતે ઘરેથી નીકળ્યા હતા. તે દરમિયાન પોણા આઠ વાગ્યાના સુમારે પિપલોદ બારીયા રોડ પર માતાનાવડ પાસે રોડ ઉપર યમદૂત બની પવનવેગે ધસમસતી આવતી જીજે.૧૬.એજે.૨૬૮૨ નંબરની મારુતિ વાન કાલીયાગોટા ગામના ઉપરોક્ત પિતરાઇ ભાઇઓની મોટર સાયકલને જાેશભેર ટકકર મારી નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ પર બેઠેલ બંનેને પિતરાઈ ભાઈઓ મોટરસાયકલ ઉપરથી ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. જેથી રમેશભાઈ પટેલને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે કીર્તનભાઈ લખાભાઇ પટેલને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત કીર્તનભાઈ લાખાભાઈ પટેલને પટેલને સારવાર અર્થે ટ્રેક્ટર મારફતે પિપલોદ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.