અમદાવાદ-

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની મોસામમાં સૌ પ્રથમવાર સંપૂર્ણ ભરવામાં આવ્યો છે. હાલ ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે અને આજે 9.30 વાગ્યા સુધીમાં 138.68 મીટરે ભરી ડેમને છલકાવામાં આવશે. 17મી સપ્ટેમ્બરે દેશના લોકલાડીલા વડાપ્રધાન મોદીની 70મી વર્ષગાંઠ ભારે ધામધૂમથી ઊજવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં મોટું આયોજન થયું છે. નર્મદા બંધને મા રેવાના નીરથી છલોછલ ભરીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની ભેટ અપાશે. સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય ગોઠવાઈ ગયા છે. એ વખતે નર્મદા-પૂજા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લેશે. બાદમાં શ્રેણીબદ્ધ બીજા અલગ અલગ પાંચ કાર્યક્રમો યોજાશે.ઉપરવાસમાંથી આવનારી પાણીની આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે. નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા ફરી પાછા ડેમના દરવાજા ખોલાઈ શકે છે. ડેમ છલોછલ ભરાતા ગુજરાતમાં આગામી બે વર્ષ સુધી પીવાનું અને સિચાઈના પાણીની સમસ્યા નહીં રહે તે નિશ્ચિત બન્યું છે.

સરદાર સરોવડ ડેમમાં પાણીની આવક 99630 ક્યૂસેક છે અને જાવક 34540 ક્યૂસેક છે. રિવર બેડ પાવરના 6 યૂનિટ સતત ચાલતા 34766 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. મુખ્ય કેનાલમાં 13500 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો 5534 મિલીયન ક્યૂબીક મીટર થયો છે. એટલે ચોક્કસ કહી શકાય કે આવનારા બે વર્ષ માટે આ નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહિત જથ્થો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2017ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. પીએમ મોદીના 70મા જન્મદિવસ 17મી સપ્ટેમ્બર 2020ના રોજ ડેમના લોકાર્પણને 3 વર્ષ પૂર્ણ થશે ત્યારે પણ ડેમને 138.68 મીટર સુધી પૂર્ણ ભરવામાં આવશે. આમ ડેમ લોકાર્પણ થયા બાદ ત્રીજી વખત સંપૂર્ણ ભરાશે.