મહેસાણા-

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તા. 23 જાન્યુઆરીના રોજ સૂર્યમંદિર મોઢેરા ખાતે યોજાનાર એક દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ-2021નું સાંજે 6.30 કલાકે ગાંધીનગરથી ઇ-ઉદ્દઘાટન કરવામાં આવશે. આ મહોત્સમાં શાસ્ત્રીય નૃત્યના ભારતવર્ષના પ્રતિભાવંત કલાકારઓ દ્વારા વિવિધ નૃત્યોની શૈલી રજુ કરવામાં આવશે. જેમાં મણીપુર ગૃપ દ્વારા મણીપુરી નૃત્ય- મણીપુરી જાગોઈ મારૂપ, ઇમ્ફાલની પ્રસ્તૃતિ, મુદ્રા સ્કુલ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ અમદાવાદ ગૃપ દ્વારા કથકલી નૃત્ય, કલા કલ્પ સાંસ્કૃતિક સંસ્થાન, ન્યુ દિલ્હી ગૃપ દ્વારા ઓડિસી નૃત્ય જ્યારે શ્રીદેવી નૃત્યાલય, ચેન્નઈ દ્વારા ભરતનાટ્યમની પ્રસ્તૃતિ કરવામાં આવશે. આજના દિવસની ઉજવણી માટે ખાસ ઐતિહાસિક એવા વિશ્વ વિખ્યાત સૂર્યમંદિરને કલરફુલ લાઇટિંગ સાથે આબેહૂબ રોશનીથી ઝગમગીત કરતા સજાવવામાં આવ્યું છે. અહીં સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનો સમન્વય શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મુકનાર છે. ત્યારે આ કાર્યક્રમમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતા માત્ર 200 લોકોને એન્ટ્રી આપવામાં આવનાર છે. જયારે અન્ય દર્શકો અને ક્લાપ્રેમી શ્રોતાઓ માટે વિવિધ ટેલિવિઝન અને સોશિયલ મીડિયા જેવા માધ્યમો પર જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવનાર છે. આ પ્રસંગે ગાંધીનગર ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિક મુખ્ય સચિવ સી. વી. સોમ ઉપસ્થિત રહેશે.