લોકસત્તા ડેસ્ક 

ભારત અને વિશ્વમાં કોરોના વાયરસના દર્દીઓ ફરીથી સંક્રમિત થયાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વેક્સિન ના આવે ત્યાં સુધી તો જાતે તકેદારી રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. કોરોના વાયરસના દર્દીઓના શરીરમાં રિકવરી પછી એન્ટીબોડી વિકસે છે પરંતુ તે ક્યાં સુધી શરીરમાં રહે છે તેની ચોક્કસ માહિતી નથી. એવામાં પોતાની તકેદારી રાખવામાં નાનકડી ચૂક પણ ભારે પડી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ લોકોને સાવધાની રાખવાની અને રિકવરીને હળવાશમાં ન લેવાની સલાહ આપી છે.

એકથી વધુ વખત કોરોના થઈ શકે?

બીજું સંભવિત કારણ છે કે, શરીરમાં એન્ટીબોડી વિકસે તો પણ તેઓ કાયમી ઈમ્યૂનિટી બનાવતા નથી. સ્ટડી પ્રમાણે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં એન્ટીબોડી 3-9 અઠવાડિયાના સમયગાળામાં ઓછા થવા માંડે છે. ICMRના મતે, 100 દિવસ બાદ શરીરમાં એન્ટીબોડી કાઉન્ટ ઘટવા માંડે છે. જો કે, જરૂરી નથી કે કોરોનાથી સાજા થયેલા તમામ દર્દીમાં એક સરખા પ્રમાણમાં એન્ટીબોડી બને. ઈન્ફેક્શન જેટલું માઈલ્ડ હોય એન્ટીબોડીનો રિસપોન્સ પણ તેટલો ઓછો હોઈ શકે છે. માટે જ કોરોનાથી સાજા થયા પછી પણ પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. અહીં ત્રણ પરિબળો જણાવીશું જેના કારણે ફરીથી કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ રહેલું છે.

માસ્ક ના પહેરવું

તમે એકવાર કોરોનાનો શિકાર બની ગયા છો તેનો અર્થ એ નથી તમને માસ્ક વિના બહાર મુક્તપણે ફરવાનું લાઈસન્સ મળી ગયું છે. લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી મૂંઝારો થતો હોય તેવું લાગે છે પરંતુ તે રેસ્પિરેટરી ડ્રોપ્સ દ્વારા ફેલાતા વાયરસ અને સૂક્ષ્મ જીવાણુઓ સામે રક્ષણ આપે છે. માસ્ક પહેરવાથી માત્ર કોરોના વાયરસ સામે જ નહીં શિયાળાના મહિનાઓમાં થતાં શ્વાચ્છોશ્વાસના ઈન્ફેક્શનથી પણ રક્ષણ આપે છે. આ જ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પ્રોટોકોલનું પહેલાની જેમ જ પાલન કરવું. કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ 10 દિવસ સુધી ઘરની બહાર ના નીકળો. હોમ આઈસોલેશન પૂરું થાય પછી પણ થોડો સમય રાહ જુઓ અને પછી જ બીજા લોકો સાથે હળવામળવાનું રાખો.

ટ્રીટમેન્ટનો કોર્સ સરખી રીતે પૂરો ના કરવો

કોરોના સામે લડ્યા બાદ મોટાભાગના લોકોના શરીરમાં એન્ટીબોડી વિકસે છે પરંતુ માત્ર તેના પર જ નિર્ભર રહેવાથી સુરક્ષિત નહીં રહી શકાય. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર કામ કરવું, સંતુલિત આહાર લેવો અને સ્ટેમિના વધારવા પર કામ કરવું જરૂરી છે. જો તમને કોઈ દવા પ્રિસ્ક્રાઈબ કરી હોય તો તે પણ લેવાની ચાલુ રાખવી. આ બધું કરવાથી કોવિડ-19થી સાજા થયા પછી જોવા મળતાં કેટલાક લક્ષણો સામે લડવામાં મદદ મળશે સાથે જ વિટામિન્સ અને સપ્લિમેન્ટ્સ શરીરના અવયવોને સારી રીતે કાર્યરત રાખવામાં ઉપયોગી બનશે. કેટલીકવાર કોરોનાની સારવાર બે મહિના સુધી ચાલુ રહી શકે છે એવામાં તમે તેને બરાબર પાળો તે જરૂરી છે.

રિકવરીના સમયને હળવાશમાં ના લો

યાદ રાખો કે, કોરોના કઠિન બીમારી છે અને સાજા થઈને નોર્મલ લાઈફમાં પરત ફરવામાં સમય લાગી શકે છે. કોરોનાના દર્દીને સાજા થયા બાદ પહેલાની જેમ બધું કામ કરવાની ઉતાવળ હોય તે સ્વાભાવિક છે પરંતુ આ ભાગદોડમાં રિકવરીને હળવાશમાં ના લેવી. તમને આરામ લાગતો હોય અને રિકવરી પછીના કોરોનાના લક્ષણ ના દેખાતા હોય તો પણ સતર્ક રહેવું હિતાવહ છે. સાજા થયા પછી તરત જ શરીરને વધુ પડતો શ્રમ આપવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. તમારા શરીરને રિકવર થવાનો પૂરતો સમય આપો નહીં તો ફરીથી સંક્રમિત થવાનું જોખમ વધી શકે છે.