દહેરાદૂન-

પતંજલિ યોગપીઠના સ્થાપક અને યોગ ગુરુ બાબા રામદેવ સામે દેશભરના ડોકટરો વિરોધ કરી રહ્યા છે પણ બાબા રામદેવ પણ ચૂપ બેસી રહ્યા નથી.બાબા રામદેવના એક પછી એક નિવેદનો આવી રહ્યા છે. બાબા રામદેવે હવે મોર્ડન સાયન્સ એટલે કે એલોપેથીની સરખામણી મેડિકલ ટેરેરિઝમ સાથે કરી નાંખી છે. સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, મારા જેવો સન્યાસી એકલા હાથે તેની સામે લડી શકે તેમ નથી. મારી પાછળ લાખો કરોડો લોકો, વૈદિક જ્ઞાન અને બીજી સંસ્થાઓ પીઠબળ આપી રહી છે.

સ્વામી રામદેવે ગઈકાલે પોતાના ફેસબૂક પેજ પર એક વિડિયો અપલોડ કર્યો હતો. ૪૦ મિનિટના વિડિયોમાં તેમણે કહ્યુ હતુ કે, યોગ, આયુર્વેદ, નેચરોપેથી અને સનાતન સંસ્કૃતિના સત્ય પરની સિરિયલ શરુ થઈ ચુકી છે. મોર્ડન સાયન્સ બહુ મોટો ટોગાળો છે. તેને ડ્રગ માફિયા, ફાર્મા માફિયા કે પછી મેડિકલ ટેરેરિઝમ કોઈ પણ નામ આપી શકાય તેમ છે. આ બહુ મોટુ ષડયંત્ર છે અને સન્યાસી તેની સામે એકલો લડી શકે નહીં.તેમણે કહ્યુ હતુ કે, બીમારીઓની સારવારને લઈને લોકોના મનમાં ખોટી વાતો ઠસાવવામાં આવી રહી છે. કોઈ વ્યક્તિને તમે એવુ કહી દો કે તે સારો નહીં જ થાય તો તેનાથી મોટો બીજાે કોઈ ગુનો હોઈ શકે નહીં. જે લોકો દર્દીઓને રડાવે છે તે એલોપેથીવાળાઓની હું આરતી થોડો ઉતારુ?લોકોના મનમાંથી ગેરસમજ દુર કરવાનુ કામ હું કરી રહ્યો છું. જાે દર્દીઓ યોગ અને નેચરોપેથીથી સારા થતા હોય તો તેમાં શું વાધો હોઈ શકે છે. જાેકે તેમણે કબૂલ્યુ હતુ કે, જીવન પર મોટુ સંકટ હોય તો એલોપેથીની લાઈફ સેવિંગ ડ્રગ અને સર્જરી યોગ્ય છે. માટે જ હું એક ઈન્ટિગ્રેટેડ સારવાર પધ્ધતિ ઈચ્છુ છું.