અરવલ્લી,ભીલોડા : ભિલોડાના બોલુન્દ્રા ગામના ધુળાભાઈ નાથાભાઈ તરાર(ઉ.વ.૫૮) કે જેઓ અવાર નવાર દારૃ પી ને આવી તેઓની પત્ની લીલાબેનને મારઝુડ કરતા હતા. અને શારિરીક માનસિક ત્રાસ આપી પરેશાન કરતા હતા.જેથી પુત્ર દિનેશભાઈ તરારે આ અંગે પિતાને ઠપકો કર્યો હતો.પરંતુ પિતા દ્વારા માતાને અસહ્ય ત્રાસ આપવાનું ચાલુ જ રહયું હતું.ત્યારે પુત્રએ કંટાળી જઈ તેની અદાવત રાખી તેના પિતા ધુળાભાઈ તરારને ઘાતક હથિયાર વડે કપાળમાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા પુત્રએ પિતાને બોથર્ડ પદાર્થના ઘા મારી હત્યા કરાતા આ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.  જયારે આ ઘટનાની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા. ભિલોડા પોલીસે મૃતક ધુળાભાઈના ભાઈ ચંદુભાઈ નાથાભાઈ તરારની ફરિયાદના આધારે હત્યારા પુત્ર દિનેશ ધુળાભાઈ તરાર (રહે,બોલુન્દ્રા-ભિલોડા) વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨ તથા જીપીએકટ-૧૩૫ મુજબ ગુનો નોંધી ફરાર હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ભિલોડા પોલીસે ભિલોડા નજીકથી હત્યારા પુત્ર દિનેશ ધુળાભાઈ તરારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભિલોડા પોલીસે ગણતરીના દિવસોમાં હત્યારાને ઝડપી પાડયો હતો.