અમદાવાદ,

દેશમાં ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી રહી છે, ત્યાં આ વર્ષે ગુરુ પૂર્ણિમાએ મંદ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. જેને ઉપછાયા અને પેનુમબ્રલ ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે. આ ચંદ્રગ્રહણ ભારતીય સમય પ્રમાણે રવિવારે સવારે 8.37 વાગ્યાથી 11.22 વાગ્યા સુધી ચાલશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં, પરંતુ અમેરિકા અને આફ્રિકામાં ચંદ્ર ઉપર ધૂળ જેવું પડ જોવા મળશે.

આ વર્ષે ગુરુ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણનો યોગ 19 વર્ષ પહેલાં 5 જુલાઈ, 2001ના રોજ બન્યો હતો. જો કે, 2020નું ચંદ્રગ્રહણ મંદ છે, જ્યારે 2001માં આંશિક ચંદ્રગ્રહણ થયું હતું. હવે 2020 પછી 16 જુલાઈ, 2038માં એટલે 18 વર્ષ બાદ આવો જ સંયોગ બનશે. જ્યાં ગુરુ પૂર્ણિમાએ મંદ ચંદ્રગ્રહણ થશે.આજે મંદ એટલે ઉપછાયા ચંદ્રગ્રહણ છે. મંદનો અર્થ છે ન્યૂનતમ એટલે મંદ હોવાની ક્રિયા. આ ચંદ્રગ્રહણને લઇને સૂતક રહેશે નહીં. જેની કોઇપણ પ્રકારે ધાર્મિક અસર થશે નહીં. આ ગ્રહણમાં ચંદ્ર આગળ પૃથ્વીનો ધૂળ જેવો પડછાયો રહેશે.