વડોદરા : રાવપુરા મચ્છીપીઠમાં રહેતા એક યુવકે ગત રાત્રે એક શેરીશ્વાનનના ગળામાં પટ્ટો બાંધીને પકડી રાખ્યા બાદ તેના માથામાં લોખંડની પાઈપના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ઈજાગ્રસ્ત શ્વાનને પોતાની મોપેડ સાથે બાંધીને આશરે અડધો કિલોમીટર સુધી ઢસેડ્યા બાદ તેને રોડ પર ત્યજી દઈ ફરાર થયો હતો. આ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયેલા જીવદયા કાર્યકરે ઈજાગ્રસ્ત શ્વાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હુમલાખોર યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોર યુવકને ઝડપી પાડ્યો હતો. માંજલપુરા ઋુતુવિહાર રેસીડન્સીમાં રહેતા દયાનંદ ત્રિવેદી વેટરનરી પ્રોડક્ટનો વેપારી સાથે એનિમલ એક્ટિવિસ્ટ તરીકે સેવા આપે છે. ગત રાત્રે સાડા અગિયારવાગે તેમને જાણ થઈ હતી કે નાગરવાડા વોર્ડ-૮ની ઓફિસ સામે એક કાળા રંગનો કુતરો લોહીલુહાણ હાલતમાં છે. આ વિગતોના પગલે તે અન્ય જીવદયા કાર્યકરો સાથે ત્યાં દોડી ગયા હતા અને તપાસ કરી હતી જેમાં જાણ થઈ હતી કે કાળા રંગના શેરીશ્વાનને કોઈએ માર મારીને ફેંકી દીધો છે. તેમણે તુરંત વેટરનીટી ડોક્ટરને બોલાવી તેની સારવાર શરૂ કરાવી હતી અને આ બનાવની કારેલીબાગ પોલીસને પણ જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. શ્વાનને ગંભીર ઈજાઓ હોઈ તેને સારવાર માટે વેટરનીટી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસ અને જીવદયા કાર્યકરોએ આ બનાવની તપાસ કરતા ત્યાં હાજર ટોળાએ જાણ કરી હતી કે એજાજ હનિફમહંમદ શેખ (સરવનટેકરા, મચ્છીપીઠ, રાવપુરા) નામના યુવકે ઉક્ત શેરીશ્વાનના મારી નાખવાના ઈરાદે અત્યંત ક્રુરતાપુર્વક તેના ગળે પટ્ટો બાંધીને માથામાં અને મોંઢાના ભાગે લોખંડની પાઈપના ફટકા માર્યા હતા.