દિલ્હી-

સીબીએસઈના દસમા અને બારમા વર્ગની કમ્પાર્ટમેન્ટ પરીક્ષા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણીમાં સીબીએસઇ બોર્ડે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના અંતમાં પરીક્ષા લેવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને કોર્ટમાં કહ્યું કે પરીક્ષા તે વિદ્યાર્થીઓ માટે હશે જેઓ પોતાનાં ગુણ સુધારવા માંગતા હોય. સીબીએસઇએ આજે ?સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે આ વર્ષે પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં બમણાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા મુલતવી રાખવાની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી.

વિદ્યાર્થીઓએ કરેલી અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના સંકટ સમયે કાં તો પરીક્ષા રદ થવી જાેઈએ અથવા ભૂતકાળના પ્રદર્શનના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું જાેઇએ. તેના પર સુપ્રીમ કોર્ટે સીબીએસઇને એફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટ આ કેસમાં ગુરુવારે આગામી સુનાવણી હાથ ધરશે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સીબીએસઇને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ અરજીઓ પર નોટિસ ફટકારી છે. જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશની ખંડપીઠે અનીકા સામવેદીની આગેવાની હેઠળના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ અરજીઓ પર નોટિસ ફટકારી હતી. કોર્ટે સીબીએસઇને 7 સપ્ટેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો અને 10 સપ્ટેમ્બરના રોજ સુનાવણી માટે કેસ ખસેડ્યો છે.