બાલાસિનોર : સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં કરૂણા નિકેતન હાઇસ્કૂલ સેવાલિયા રોડ, બાલાસિનોર ખાતેથી મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ૧૨ ગામના ખેડૂતોના ૫૬૯ ખેતી વિષયક વીજ જોડાણોને આ યોજનાનો જિલ્લા પ્રભારી અને પર્યાવરણ રાજ્ય કક્ષા મંત્રી જયદ્રથસિહજી પરમારે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, કિસાનોને અનેક પ્રકારની અગવડતામાંથી મુક્તિ અપાવતું બીજા તબક્કાનું આ ઐતિહાસિક ચરણ મંડાયું છે. ગુજરાતના ખેડૂતોની સુખાકારી માટે હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કામાં સમગ્ર ગુજરાતના ૧૦૫૫ ગામડાઓને આવરી લેવામાં આવ્યા હતા. જ્યારે બીજા તબક્કામાં રાજયના ૨૭૦૨ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, ગામડાના લોકોને શહેરો જેવી સુવિધા પ્રાપ્ત થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઊર્જાના ક્ષેત્રમાં ક્રાંતિકારી કદમ ઉઠાવીને જ્યોતિગ્રામ યોજના થકી માત્ર ૧૦૦૦ દિવસમાં જ ગુજરાતના તમામ ગામોમાં ચોવીસ કલાક થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડ્યો હતો. 

મંત્રીએ સત્તાને સાધન બનાવી રાજ્ય સરકારે લોકોની અગવડતાઓને સગવડતામાં પરિવર્તિત કરી છે, તેમ જણાવતાં ઉમેર્યું હતું કે, ગુજરાતના ૧૮૦૦૦થી વધુ ગામડાંઓના ખેડૂતોને વર્ષો જૂની પીડામાંથી મુક્તિ મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે પણ વીજળી ખેડૂતોને આપવાનું ભગીરથ કદમ રાજ્ય સરકારે ઊઠાવ્યું છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેતી માટે દિવસ દરમિયાન વીજળી મળી રહેશે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર સતત પ્રયત્‍નશીલ છે. સરકારના ખેડૂત હિતલક્ષી પગલાંના ભાગરૂપે કિસાન સમ્‍માનનિધિ હેઠળ દર વર્ષે છ હજારની સહાય આપવામાં આવે છે. આયુષ્‍માન ભારત યોજના હેઠળ પાંચ લાખ સુધીની સહાય આપવામાં આવતાં તે ગરીબો માટે આશીર્વાદરૂપ બની રહી છે.

આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ અને પૂર્વ ચેરમેન ગુજરાત રાજ્ય નાગરીક પૂરવઠા નિગમના રાજેશભાઇ પાઠકે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં બાલાસિનોર તાલુકાના ૧૨ ગામના ખેડૂતોના ૫૬૯ ખેતી વિષયક વીજ જોડાણોને આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોના ખેડૂતોને આજ થી જ દિવસે વીજ પૂરવઠો ઉપલબ્ધ બનશે.

કિસાન સૂર્યોદય યોજનાના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર નયન ચાવડાએ કર્યું હતું, જ્યારે આભાર દર્શન ધવલ ઉપાધ્યાય કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, અગ્રણી દશરથભાઇ બારીયા, જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, પ્રાંત અધિકારી વિમલ ચૌધરી તથા તાલુકા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ એમજીવીસીએલના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.