ભરૂચ, કેન્દ્ર સરકારના ૩ કૃષિ બિલોને કાળો કાયદો ગણાવી ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસે ઝપલાવ્યું છે. કૃષિ બિલ વિરોધમાં ગુરુવારે ભરૂચ જિલ્લાના ૯ તાલુકા મથકોએ બીલની હોળીનો વિરોધ કાર્યક્રમ કરાયો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ૨ દિવસ પહેલા કૃષિ બિલના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં દિલ્હીમાં ચાલતા અહીંસક ખેડુત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડુતોને શ્રધ્ધાંજલી અપાઇ હતી. સાંજે કોંગી આગેવાનોએ પાંચબત્તી ખાતે આંદોલન માં મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાસુમન આપવા મીણબત્તીઓ પ્રગટાવી ખેડૂત બિલનો વિરોધ નોંધાવ્યો હતો.કોંગ્રેસે દ્વારા કૃષિ બિલ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા જિલ્લાભરમાં કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવા જીલ્લા મથકોએ પ્રદેશ નેતાઓએ પત્રકાર પરીષદમાં વિગતો જાહેર કરી હતી.સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે કોંગ્રેસ કૃષિ બિલને લઈ ખેડૂતોના સમર્થનમાં આક્રમક બની છે.ગુરુવારે બપોરે ભરૂચ જિલ્લાના તમામ ૯ તાલુકા મથકે કૃષિ બીલની હોળીનો વિરોધ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે તાલુકા અને યુથ કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના પત્રકની હોળી કરાઇ હતી.યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ કૃષિ બીલનું પત્રક સળગાવવા જતા પોલીસની ખેંચતાણ વચ્ચે ઝાળ લાગી જતા દાઝ્‌યા હતા. પોલીસ દ્વારા કૃષિ બીલની હોળી કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરાઇ હતી. કોંગી કાર્યકરોએ કૃષિ બિલના કાળા કાયદાને રદ કરવા તેમજ ખેડૂત આંદોલનના સમર્થનમાં વધુ જલદ કાર્યક્રમો પાઠવી મૂંગી અને બહેરી સરકારને જગાડવામાં આવશે તેવી ઘોષણા કરાઈ છે.