દિલ્હી-

દિલ્હીમાં કોરોનાના દર્દીઓની હાલત કફોડી બની છે. કેટલીક હોસ્પિટલ્સમાં તો ઓક્સિજન જ પૂર્ણ થઈ ગયો છે. જોકે, કેન્દ્ર સરકાર તરફથી મોકલવામાં આવતા ઓક્સિજનના કારણે રાહત જોવા મળી રહી છે. હવે આ મામલે દિલ્હી હાઈકોર્ટે પણ લાલ આંખ કરી છે. હાઈકોર્ટે કહ્યું કે, જો કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક તંત્રનો કોઈ અધિકારી ઓક્સિજનના સપ્લાય અંગે જો અડચણરૂપ થશે તો અમે તે વ્યક્તિને લટકાવી દઈશું. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રેખા પલ્લીની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. મહારાજા અગ્રસેન હોસ્પિટલની એક અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસે આ ટિપ્પણી કરી હતી. હોસ્પિટલમાં ગંભીર રૂપથી બીમાર કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની અછત અંગે હવે હોસ્પિટલ્સ હાઈકોર્ટની શરણ લઈ રહી છે. કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, તેઓ જણાવે કે ઓક્સિજનના સપ્લાયમાં કોણ અડચણ ઊભી કરે છે અમે તે વ્યક્તિને લટકાવી દઈશું. હાઈકોર્ટની જસ્ટિસની બેન્ચે જણાવ્યું હતું કે, અમે અડચણરૂપ થતા કોઈ પણ વ્યક્તિને નહી છોડીએ. કોર્ટે દિલ્હી સરકારને કહ્યું હતું કે, તેઓ સ્થાનિક તંત્રના આવા અધિકારીઓ વિશે કેન્દ્ર સરકારને જાણ કરે, જેથી તેમની સામે કાર્યવાહી કરી શકે.