ભાવનગર-

આજકાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ વધતી જાય છે, ત્યારે ભાવનગર તળાજાના દાઠા પોલીસ મથકમાં દયાળ ગામના ઈસમ વિરુદ્ધ સગીરા સાથે બે વખત દુષ્કર્મ આચર્યાંની ફરિયાદ નોંધાઈ છે. બળાત્કારી ઈસમ સગીરાનો કૌટુંબિક મામો થતો હોવાનું પોલીસ તપાસમાં ખુલતાં પોલીસે તેની અટક કરી હતી.

દાઠા પોલિસ મથકમાં સગીરાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે, દયાળ ગામે રહેતાં અને સંબંધમાં કૌટુંબિક મામા ભાવેશ ચૌહાણે ફરિયાદી સગીરાને અમરેલી વિસ્તારમાં ખેતમજૂરી કામે લઈ જઈ વાડીમાં મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. તે સમયે મામાએ સગીરાને કોઈને કહીશ તો કુંવામાં ફેંકી દેવાની ધમકી પણ આપી હતી. તો, ગતરોજ સગીરા એકલી જતી હોય તે સમયે મામાએ ઓરડીમાં લઇ જઇ ખાટલા સાથે બાંધી દઈ બીજી વખત દૂષ્કર્મ આચર્યું હતું. એ સમયે સગીરાએ બૂમાબૂમ કરતાં તેણીના વાલી સહિતના આવી ગયા હતા. બનાવને લઈ તળાજા સર્કલ પો.ઇ.રાઠવાએ મામા ભાવેશ ચૌહાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.