સુરત-

ગુજરાત પહેલેથી ફાર્માસ્યુટિકલ હબ રહ્યુ છે. દેશના અનેક રાજ્યોમાં દવાનો પુરવઠો ગુજરાતમાંથી પૂરો પાડવામાં આવે છે. આવામા કોરોનાકાળમાં પણ ગુજરાત અન્ય રાજ્યોની વ્હારે આવ્યું છે. ગુજરાતમાં ઓક્સિજનની અછત વચ્ચે સુરત હજીરા પ્લાન્ટથી ચાર દિવસમાં ૨૦૦ મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં ઓક્સિજનની અછતના કારણે આઈનોક્સ કંપનીએ કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ઓક્સિજનનો જથ્થો મધ્યપ્રદેશમાં મોકલી આપ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરાયો હતો કે, સુરતના હજીરા આઈનોક્સ પ્લાન્ટમાંથી ઓક્સિજન એમપી મોકલવામાં આવે છે. આમ સુરત શહેર મધ્યપ્રદેશ માટે સંકટમોચન બન્યું છે. સુરતમાંથી ૨૮મી એપ્રિલના રોજ ૬૫ ટન અને ૨૯ એપ્રિલના રોજ ૫૨ ટન ઓક્સિજન સપ્લાય મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યો છે. ગઈકાલે કેન્દ્ર સરકારના સોલિસીટર જનરલે સ્વીકર્યું હતું કે, અમે ગુજરાતનો ઓક્સિજનનો જથ્થો કાપીને મધ્યપ્રદેશને આપ્યો છે.

જાેકે, બીજી તરફ સુરતની સ્થિતિ પણ પાતળી છે. મધ્ય પ્રદેશમાં ઓક્સિજન મોકલવાને કારણે સુરતના ઓક્સિજન સપ્લાયને તેની સીધી અસર પડી રહી છે. હજીરાની આઇનોક્સ કંપનીમાંથી રોજનો ૧૨૦ ટન ઓક્સિજનનો જથ્થો સુરતની સિવિલ, સ્મીમેર સહિત મોટી ખાનગી હોસ્પિટલોને મળતો હતો. પણ-છેલ્લા બે દિવસથી આ સપ્લાય ૮૭થી ૯૦ ટન થઇ ગયો હતો. શહેરની હોસ્પિટલોમાં ૧૮૦ થી ૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે. જે સપ્લાય ૧૫૦ ટનથી નીચે આવી ગયો હતો.