અમદાવાદ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ કોલેજાેમાં ૩૫ દિવસનું વેકેશન રહેશે ગઈકાલે શિક્ષણ વિભાગે તમામ સરકારી યુનિવર્સિટી અને તેને સંલગ્ન સરકારી, ખાનગી અને ગ્રાન્ટ – ઈન – એઈડ કોલેજાેમાં તા. ૧ મેથી તા.૫ જૂન સુધી વેકેશન જાહેર કર્યું છે. શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવ્યું છે કે, સરકારી યુનિવર્સીટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે કોમન એકેડમિક કેલેન્ડર નિયત કરવામાં આવ્યું હતું.

શિક્ષણ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે નવું શૈક્ષણિક સત્ર તા.૧/૭/૨૦૨૧થી શરૂ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. શૈક્ષણિક વર્ષ – ૨૦૨૦ – ૨૧ દરમિયાન રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ની સંક્રમણની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગ દ્વારા પોસ્ટ લોકડાઉનમાં યુનિવર્સિટીઓ, કોલેજાે રી-ઓપન કરવા માટે વખતો વખત માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લે તમામ યુનિવર્સિટીઓ અને કોલેજાેમાં તા. ૩૦/૪/૨૦૨૧ સુધી તમામ ભૌતિક શિક્ષણ કાર્ય ( વર્ગખંડ શિક્ષણ ) મોકૂફ રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.

આમ, હાલ તમામ યુનિવર્સીટીઓ, કોલેજાેમાં વર્ગખંડ શિક્ષણ કાર્ય સ્થગિત છે. તાજેતરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટી અને તેને સંલગ્ન સરકારી, ખાનગી અને ગ્રાન્ટ – ઈન – એઈડ કોલેજાેમાં તા. ૧ મે ૨૦૨૧થી તા.૫ જૂન ૨૦૨૧ સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.હાલ કોરોનાની વકરી રહેલી સ્થિતિ ની વચ્ચે વાલીઓને આ વેકેશનના પગલે હાશકારો થયો છે.