ધોળકા-

મૂળ વિરડી તાલુકાનાં અને હાલમાં પાશ્વનાથ હોસ્પિટલ પાસેની તીર્થ નગર સોસાયટીમાં રહેતા ગણપતભાઇ સોમાભાઈ મકવાણાએ ધોળકા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે, તેમનાં ભાઇ રમેશભાઈ મકવાણાની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા હત્યા કરવામાં આવી છે અને હત્યા બાદ મૃતદેહને સ્મશાનનાં હોજમાં ફેંકી દેવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ધોળકા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ એલબી તડવી પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઈને મૃતદેહનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારબાદ મૃતદેહને પી.એમ અર્થે ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. તારણોમાં મૃતકનાં માથામાં આગળ તેમજ પાછળનાં ભાગે ઈંટો મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા રમેશભાઈનું નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તો પોલીસ એવું પણ માની રહી છે કે, સ્મશાન ગૃહ નજીક જ હત્યા કર્યા બાદ મૃતદેહને ઢસડી ને સ્મશાનના હોજમાં ફેંકી દેવામાં આવ્યો હોઈ શકે છે. આમ, હત્યાની આ ઘટના અંગે કોઈ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ધોળકા ટાઉન પોલીસે ગુનો નોધી હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આ હત્યા કોઈ એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે કે અન્ય કોઈ લોકો તેમાં શામેલ છે કે કેમ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.