છોટાઉદેપુર

આઝાદી બાદ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશે અપનાવેલી સંસદીય શાસન પ્રણાલી દુનિયામાં નિરાળી છે એમ રાજયના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ખુટાલિયા પરેડ ગ્રાઉન્ડમાં આયોજીત ૭૨મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન પ્રજાજાેગ સંબોધન કરતા મંત્રી ખાબડે આઝાદી માટે શહીદ થયેલા શહીદવીરોને યાદ કરી તેમણે આઝાદીની ચળવળમાં સ્વાતંત્ર્યવીરોએ આપેલું યોગદાન અવિસ્મરણીય હોવાનું જણાવી હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૨૬મી, જાન્યુઆરી ૧૯૫૦ના રોજ દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું. ત્યારથી જ આપણો દેશ લોકતંત્ર તરીકે જાણિતો થયો છે એમ જણાવી તેમણે ગુજરાતના પનોતા પુત્ર એવા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલનું સ્મણર કરી દેશની આઝાદીની ચળવળમાં બલિદાન આપનાર શહીદવીરોના ગૌરવપૂર્ણ બલિદાનને યાદ કરી શહીદોના સપનાઓને ફળીભુત કરવા કટિબદ્ધ બનીએ એમ જણાવ્યું હતું.

તેમણે જન જનના સહયોગથી ભવ્ય અને દિવ્ય ગુજરાત નિર્માણનું કાર્ય ગુજરાતે ઉપાડયું છે જેમાં સાડા છ કરોડ ગુજરાતીઓનો મકકમ પુરૂષાર્થ સામેલ છે એમ ઉમેર્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં રમત ગમત, શિક્ષણ, આરોગ્ય તેમજ અન્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું ટ્રોફી અને સન્માનપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ દ્વારા પરેડ અને માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, રાજયસભા સાંસદ નારણભાઇ રાઠવા, કલેકટર સુજલ મયાત્રા, ડીડીઓ મિહિરભાઇ પટેલ, પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રભાઇ શર્મા, અધિક નિવાસી કલેકટર કે.એસ.વસાવા, ડીઆરડીના નિયામક પી.એ.ગામીત, પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશભાઇ ચૌધરી, શિક્ષણાધિકારી એસ.એલ.પવાર, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.