નવસારી-

નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પીડિતાએ ઉપરી અધિકારીઓ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું. મેઘાએ અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષામાં સ્યૂસાઇડ નોટ લખી તેમાં પોતાને મેટ્રન અને ઓટી ઇન્ચાર્જ દ્વારા વધુ કામ કરાવી હેરાન કરવામાં આવતી હોવાનો તેમજ સિવિલ સર્જન સાથે શારીરિક સબંધો બાંધવા દબાણ કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પીડિતાએ ગત 22 ઓક્ટોબરે આત્મહત્યા કરી હતી. કોરોના વોરિયર નર્સે અચાનક ભરેલા આ અંતિમ પગલાથી તેના પરિવારજનો આઘાતમાં છે. તેણે આત્મહત્યા પૂર્વે એક ગુજરાતીમાં અને એક અંગ્રેજીમાં સ્યૂસાઇડ નોટ્સ લખી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના મેટ્રન તારા ગામીત અને ઓટી ઇન્ચાર્જ વનિતા પટેલ સામે વધુ કામ આપવા તેમજ પોતે બીમાર હોવા છતાં તેને રજા ન આપી તોછડું વર્તન કરી અપમાનિત કરાતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેની માતાએ પણ આ અંગે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને દિકરીને ન્યાય મળે તેવી માગ કરી છે. પીડિતાએ સ્યૂસાઇડ નોટમાં તેની મેટ્રન દ્વારા સિવિલ સર્જન ડૉ. અવિનાશ દુબે સાથે શારીરિક સંબંધો રાખવા દબાણ કરાતું હોવાના પણ તેણે આક્ષેપો કર્યા છે. મહિલા હોવા છતાં મેટ્રન તારા દ્વારા કરાતા દબાણથી કંટાળેલી તેણે પોતાની ઇજ્જત બચાવવા માટે અંતિમ પગલુ ભર્યું છે તેમ જણાવ્યું હતું. બીજી તરફ તેના પતિ અંકિત ખંભાતી અને સાસુ પણ દહેજ માંગીને તેને હેરાન કરી રહ્યા હોવાની વાત જણાવી હતી. સમગ્ર મુદ્દે પોલીસે સ્યૂસાઇડ નોટ્સને આધારે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડૉ. અવિનાશ દુબે, મેટ્રન તારા ગામીત, ઓટી ઇન્ચાર્જ વનિતા પટેલ સહિત તેના પતિ અંકિત ખંભાતી અને તેની માતા દેવકીબેન ખંભાતી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા, દહેજ સહિતની ધારાઓ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.