સુરત-

સુરતના સહારા દરવાજાથી કડોદરા જવાના રોડ પર ઇન્ટરસીટી ખાડી પુલ નજીક ફૂટપાથ ઉપરથી ગત મંગળવારે સાંજે લોહીલુહાણ હાલતમાં સાજનારામ નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વરાછા પોલીસે આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. શરૂઆતના સમયે યુવાને આપઘાત કર્યો હોવાનું પોલીસને આશંકા હતી. જોકે પીએમ રિપોર્ટ આવતાની સાથે જ પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે આ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આ યુવાનને ફ્રૂટની દુકાન માલિક તથા તેની આસપાસના સ્થાનિક લોકોએ ઢોર માર માર્યો હતો આ યુવાન પર ચોરીનો વહેમ રાખી તેને દુકાનની અંદર બંધ કરી લાકડાં વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો બાદમાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતું. તેને ફૂટપાથ પર ફેંકી દેવાયો હતો આ ઉપરાંત દુકાન લોહીલુહાણ હતી તેને પણ સાફ કરી દેવામાં આવી હતી અને મારવામાં આવેલ લાકડી ફેંકી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

ચોરીની આશંકા રાખી યુવાનને મોતને ઘાટ ઉતારનાર 11 આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યાં હતાં. આરોપીઓએ એક થઈ દુકાન બંધ કરી યુવાનને માર માર્યો હતો. મોબ લીન્ચિંગની આ ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી છે.