વડોદરા-

વડોદરા નેશનલ હાઇવે સ્થિત કપુરાઇ ચોકડી નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માત માં ત્રણ યુવાનનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવાનો પૈકી એક 'આપ' પાર્ટીના નેતા હોવાની વિગતો જાણવા મળી છે. જે સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ સુરત ઓલપાડ રોડ ઉપર આવેલા પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા આમ આદમી પાર્ટીના નેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી, સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામ રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવવા નીકળ્યા હતા તે દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેમણએ પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઇડર કૂદી રોંગ સાઈડ માં પડતા સામે આવી રહેલી ટ્રક સાથે ધડાકા ભેર ટકરતા સર્જાયેલા અકસ્માતમાં કાર માં સવાર ત્રણેય ના કરૂણ મોત થતા પાણીગેટ પોલીસે મૃતકો ના પરિવારજનો ને જાણ કરતા તેઓ વડોદરા આવી પહોંચ્યા હતા. આ ઘટના ને લઈ ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.